Saturday, July 23, 2011

ત્રણ મહિનામાં ૮૦ લાખથી વધુ નવકારમંત્રના જાપ


રાષ્ટ્ર, સંસ્કૃતિ અને ધર્મના ક્ષેત્રે આગવંંુ પ્રદાન કરનાર જૈન ધર્મના પંન્યાસ પ્રવર ચન્દ્રશેખર વિજયજી મહારાજના આજે ૭૮માં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે તેમના સુંદરે આરોગ્ય માટે તપોવન સંસ્કાર પીઠ અમીયાપુરના વિદ્યાર્થીઓએ સાથે મળીને કુલ ૭૦ લાખ નવકાર મંત્રનો જાપ કર્યો હતો. વ્યસનો અને ફેશનના ફંદામાં ફસાયેલી યુવા પેઢીને સન્માર્ગે વાળવા માટે તેમણે વૈચારિક ક્રાંતિનો પ્રકાશ પાથર્યો છે. ત્યારે આજે તેમના ૭૮માં જન્મ દિવસ નિમિત્તે તેમને દીર્ધાયુ મળે તે માટે સમગ્ર ભારત ભરના જૈન સંઘો દસ હજારથી વધારે આયંબિલ તપની તપશ્ચર્યા કરશે.

જૈનાચાર્ય ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબના ૭૮માં જન્મ દિવસ નિમિત્તે આજે સમગ્ર ભારત અને અમદાવાદના જૈન સંઘો દ્વારા ૨૫૦૦૦થી વધારે આયંબીલ તપશ્ચર્યા કરવામાં આવશે. આ પ્રસંગ નિમિત્તે તપોવન સંસ્કાર પીઠના ૪૦૦ વિદ્યાર્થીઓ ૮૦ લાખથી વધુ નવકાર મંત્રનો જાપ કર્યો હતો

આ પ્રસંગ નિમિત્તે તપોવનના ૪૦૦ વિદ્યાર્થીઓએ ત્રણ મહિનામાં ૮૦ લાખથી વધુ નવકાર મંત્રનો જાપ કરીને તેમના સુંદર આરોગ્ય માટે પ્રભુને પ્રાર્થના કરી હતી. મહત્ત્વની વાત એ છે કે તપોવન સંસ્કાર પીઠના વિદ્યાર્થીઓ ડિસ્કો અને ક્રિકેટથી દૂર રહીને ભક્તિમય વાતાવરણમાં તપશ્ચર્યાની સાથે સાથે પરિક્ષાની તૈયારી પણ કરે છે. આ ઉપરાંત આજે સમગ્ર અમદાવાદના દરેક જૈન સંઘમાં કુલ મળીને દસ હજાર આયંબીલની તપશ્ચર્યા કરશે. આયંબીલ તપશ્ચર્યામાં ઘી, તેલ, ગોળ, દૂધ, દહીં જેવી છ મુખ્ય વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે. અને આજે અમદાવાદમાં પાંચ હજારથી વધારે તથા સમગ્ર ભારતમાં ૨૫ હજારથી વધારે આયંબીલની તપશ્ચર્યા કરવામાં આવશે.

ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબના સ્વસ્થ આરોગ્ય માટે જૈન મુનિ ગિરિ ભૂષણ વિજયજી મહારાજ સાહેબે ૨૨ વખત સોળ ઉપવાસની તપશ્ચર્યા કરી છે. તેઓ આજે ૨૨મી વખત સોળમો ઉપવાસ પૂર્ણ કરશે. તેઓ ઉપવાસના પ્રથમ દિવસે એક સાથે સોળ ઉપવાસ કરવાના છે તેમ નક્કી કરી દે છે. જેને જૈ શાસનમાં પચખાણ કહે છે. આમ આજે ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબના ૭૮માં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર ભારત અને અમદાવાદમાં આયંબીલ તપશ્ચર્યા કરવામાં આવશે

તસ્વીર : સુરેશ મિસ્ત્રી

ગાંધીજીના મુખ્ય મથક અમદાવાદમાં ખાદી બનતી નથી

આશ્ચર્યની વાત એ છે કે ગાંધીજીની કર્મભૂમિ અમદાવાદમાં ક્યાંય ખાદીનું કાપડ બનતું નથી. ૧૯૮૦ સુધી માત્ર ગાંધી આશ્રમમાં જ ખાદી વણાટનું કામ ચાલતું હતું, પરંતુ ૧૯૮૦ પછી કારીગરોના અભાવને કારણે ખાદી વણવાનું બંધ થઇ ગયંં. અમદાવાદમાં ૪૦થી ૪૫ ખાદી ભંડારો છે, પરંતુ આ ખાદી ભંડારોમાં અમદાવાદની આસપાસના ગામડાઓ અને સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, ભાવનગર, સિંહોર, ગૌડલ, રાજકોટ, ગઢડા, ઢસા વગેરે જગ્યાએથી ખાદીનું કાપડ બનીને આવે છે. અને જે પાતળી ખાદી આવે છે તે પરપ્રાંતમાંથી આવે છે. આ અંગે ગાંધી આશ્રમમાં ઇમામ મંઝિલમાં રહેતા ૪૨ વર્ષના ધીમંતભાઇ બઢિયા કહે છે કે, મારા દાદા અને પર દાદા ગાંધી આશ્રમમાં ખાદી વણાટનું કામ કરતા હતા. હું પોતે એક મિલ કામદરા છું અને હવે આશ્રમની ભૂમિ પર કોઇ ખાદી વણાટનું કામ કરનાર રહ્યું નથી. પરંતુ આશ્રમની મુલાકાતે આપતા ટુરિસ્ટોને ખાદી કેવી રીતે બને અને કોટનમાંથી વસ્ત્ર કેવી રીતે તૈયાર થાય એ જાણકારી મળી રહે તે માટે મેં બે વર્ષથી ખાદી વણાટનું સેન્ટર ચાલુ કર્યું છે. પરંતુ ખાદીનું ઉત્પાદન નથી થતું.
ગાંધીજીની કર્મભૂમિ અમદાવાદમાં ક્યાંય ખાદીનું કાપડ બનતું નથી. અમદાવાદમાં આવેલા ૪૦થી ૪૫ જેટલા ખાદી ભંડારોમાં આસપાસના ગામડાઓ, સૌરાષ્ટ્ર તથા પરપ્રાંતમાંથી ખાદીનું કાપડ આયાત કરવામાં આવે છે

ખાદીનું કાપડ બનાવવા માટે સુતરની આંટીઓની ચાર- પાંચ દિવસ સુધી પ્રોસેસ કરવી પડે છે. અને ત્યાર પછી ખાદીનું કાપડ બને છે. આ અંગે ગાંધી આશ્રમમાં રહેતા ૭૧ વર્ષીય સાન્તાબેન બઢિયા કહે છે કે, શરૃઆતમાં આશ્રમમાં વણાટ શાળા હતી. જેમાં ખાદી વણાટકામ શીખવા માટે સમગ્ર દેશમાંથી લોકો આવતા હતા. સમય જતાં બધું જ બંધ થઇ ગયું અને આજે તો અમદાવાદમાં ગાંધીજીના આશ્રમમાં પણ કાદીનું કાપડ નથી બનતું. જ્યાં સુધી જુની પેઢીના લોકો હતા ત્યાં સુધી તેઓએ પોતાનો ખાદી વણાટનો વ્યવસાય પકડી રાખ્યો હતો, પરંતુ ઓછા વળતરને કારણે નવી પેઢી પોતાના ખાદીના વ્યવસાયને છોડીને અન્ય વ્યવસાયમાં લાગી ગઇ છે. આ અંગે આશ્રમમાં રહેતા નરશીભાઇ બઢિયા કહે છે કે, અમદાવાદમાં હવે કોઇને ખાદી વણાટનું કામ આવડતું નથી. ખાદીનું કાપડ બનાવવા માટે ગામડામાંથી કારીગરોને લાવવા પડે છે, પરંતી ખાદીમાં રોજી- રોટી ઓછી મળતી હોવાથી ખૂબ જ ઓછા લોકો હવે ખાદી વણાટનું કામ કરે છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

દારુણ ગરીબીમાં પણ મસ્ત રહેતા સીદીઓ 'બાદશાહ' કહેવાયા

 સાસણ ગીર એટલે એશિયાટિક સિંહની ત્રાડોથી ગુંજતો એક વિસ્તાર. અહીં જંગલમાં સતત ફરતા ફરતા તમને ડાલામથ્થા સાવજોની સતત પ્રતિતિ થયા કરે. સિંહ સિવાય પણ સાસણ અને તાલાળા ગીરમાં એક બીજી વિશેષતા છે અને એ છે અહીંના સીદી બાદશાહ. આફ્રિકન જેવી લાગતી આ અનોખી આદિ જાતિનો ખડતલ પુરુષ છ ે આજે પણ ગીરના જંગલોમાં ખુલ્લા પગે આગ ઝરતી આંખો વાળા સિંહ સામે ગભરાયા વગર ઉભા રહી જાય છે. ગીરના માલધારીઓની જેમ અહીંના સીદીઓની પણ આગવી સંસ્કૃતિ છે. આ વિસ્તારના મોટાભાગના સીદીઓ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગરીબીમાં જીવતા હોવા છતાં તેમના માં રહેલા સંતોષને કારણે સૌરાષ્ટ્રમાં તેમને સીદી-બાદશાહ કહેવામાં આવે છે.

જૂનાગઢ જિલ્લાના જાંબુર અને શિરવાણ ગામના સીદીઓ છૂટક મજૂરી કરીને જીવન નિર્વાહ ચલાવે છે. અનેક મુશ્કેલીઓમાં પણ સંતોષી અને મસ્ત જીવન જીવવાનો ગુણ દરેક સીદીમાં સ્વાભાવિક પણે જોવા મળે છે

સીદીઓનું ધમાલ નૃત્ય તો આજે ગુજરાતના દરેક પ્રદેશમાં જાણીતું બની ગયું છે. હવે તો હાઈપ્રોફાઈલ ફેમીલીના લગ્નોમાં પણ સિદી ધમાલ નૃત્યનું આયોજન કરવામાં આવે છે.
 ૫૦૦ વર્ષ પૂર્વે આફ્રિકાથી ગુલામ તરીકે ભારતમાં આવેલા સીદીઓને આપણા નવાબો તથા સુબાઓએ તેમને ખરીદ્યા હતા. ખડતલ પ્રજા હોવાથી તેમણે સીદીઓને સિંહના શિકાર અને લશ્કરમાં રોક્યા. સીદી બાદશાહનું ધમાલ નૃત્ય વિશ્વ વિખ્યાત બન્યું છે. સીદીઓ જ્યારે શિકાર કરવા જતા ત્યારે આ નૃત્ય કરતાં અને શિકાર મળી જાય એટલે આનંદમાં આવીને જે નૃત્ય કરતા તે આદિમ સંસ્કૃતિની ઝાંખી આજે પણ જોવા મળે છે.

આખા ગુજરાતમાં કુલ ૧૫ હજાર જેટલા સીદીઓની વસ્તી છ,જ્યારે આખા ભારતમાં ૨૫૦૦૦ સીદીઓ છે..જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જોવા મળે છે. જૂના ગઢ જિલ્લાનું તાલાળા, જાંબુર, શિરવાણમાં તેમની વસ્તી સૌથી વધુ છે.ભારતમાં ગુજરાત,ગોવા,કેરળ અને કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સીદીઓની વસ્તી જોવા મલે છે. લોકવાયિકા પ્રમાણે ગુજરાતમાં સીદીઓ સૌપ્રથમ ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે આવ્યા હતા. સીદીઓના સૂફી સંત બાબા ગોરની દરગાહ આજે પણ ઝઘડીયા ના રતનપુરમાં છે. સીદીઓ ઈસ્લામને અનુસરે છે. અમદાવાદમાં પણ પથ્થરકુવા અને ખાનપુરમાં સીદીઓની વસ્તી છે.આ અંગે જાણીતા લોક ઈતિહાસકાર જોરાવરસિંહ જાદવ કહે છે, ' ગુજરાતના સીદીઓ તેમની આગવી કલાથી આખા વિશ્વમાં પ્રસિધ્ધ છે. ભરુચના સિદી ગોમાનું ધમાલ નૃત્ય વિશ્વના અનેક દેશોમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે આ કલાને ગુજરાતની આગવી કલા તરીકે ખ્યાતિ મળી હતી.લોકકલા ફાઉન્ડેશન દ્વારા ભરુચના સીદી કલાકાર શબ્બીરભાઈ સીદીને તેમના કલા ક્ષેત્રે આગવા પ્રદાન બદલ ગુજરાત લોકકલા ગૌરવ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.
તસ્વીર :  સુરેશ મિસ્ત્રી

મોલ કલ્ચરમાં કલાકે કલાકે મહિલા-બાળકો સહિત ગણતરી માંડતી સિસ્ટમ

 શું તમે મોલમાં શોપિંગ કરવા માટે ગયા છો? જો હા, તો સમજી લો કે તમારી ગણતરી થઇ ગઇ છે, કારણ કે મોલમાં શોપિંગ કરવા માટે જતા દરેક લોકોની ગણતરી કરવામાં આવે છે. જેની અપણને ખબર હોતી નથી. મોલના દરવાજેથી એન્ટ્રી કરો કે તરત જ દરવાજા પાસે ઉભેલા સિક્યુરિટી ગાર્ડ નાનકડા કાઉન્ટિંગ મશીનમાં તમાર એન્ટ્રી કરી દે છે, અને દર કલાકે કેટલા લોકો મોલની અંદર આવ્યા તેનો રેકોર્ડ તૈયાર કરવામાં આવે છે. આખા દિવસમાં કેટલા લોકો મોલમાં શોપિંગ કરવા માટે આવ્યા તેનો રેકોર્ડ તૈયાર કવામાં આવે છે અને પછી તે રેકોર્ડને જે તે મોલની હેડ ઓફિસમાં મોકલવામાં આવે છે.


અમદાવાદના મોલ્સમાં અનોખા કાઉન્ટિંગ મશીન અને ક્લોઝ સર્કિટ કેમેરાની મદદથી દર કલાકે કેટલા પુરુષો,મહિલાઓ અને બાળકો ખરીદી કરી રહ્યા છે તેની રજે રજની માહિતી મળે છે

આ અંગે એક મોલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મુકેશ ઠાકોર કહે છે કે, અમારા હાથમાં લેડિઝ, જેન્ટ્સ અને કિડ્સની ગણતરી કરવા માટે નાનકડા કાઉન્ટિંગ મશીન હોય છે. જેમાં ત્રણયે કેટેગરીને અલગ અલગ રેકોર્ડ રાખવામાં આવે છે. આ ગણતરી કરવા પાછળું કારણ એ છે કે જેનાથી ખ્યાલ આવે છે કે કેટલા લોકો મોલમાં શોપિંગ કરવા માટે આવે છે, કારણ કે જ્યારે મોલ કલ્ચરની શરૃઆત થઇ ત્યારે લોકોમાં મોલમાં જઇને ખરીદી કરવાનો ખૂબ જ ઉત્સાહ હતો, પરંતુ લોકો ફરીથી મોલને બદલે શહેરના જુના બજારોમાંથી ખરીદી કરવા તરફ આકર્ષાયા છે. અત્યારે શહેરમાં અનેક હાઇ પ્રોફાઇલ મોલ બની ગયા છે. જેમાં નાનામાં નાની વસ્તુથી લઇને જીવન જરૃરિયાતની દરેક વસ્તુ એક જ જગ્યાએથી મળી રહે છે. હકીકતમાં મોલમાં જઇને શોપિંગ કરનારો વર્ગ ઘટયો હોવાથી મોલમાં જનાર લોકોનું કાઉન્ટિંગ કરવામાં આવે છે.
 આ અંગે અન્ય એક મોલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા શૈલેષ શ્રીમાળી કહે છે કે, મોલની અંદર પ્રવેશ કરતા લોકોને ખબર નથી હોતી કે તેમની ગણતરી કરવામાં આવે છે, પરંતુ દરરોજ મોલમાં કેટલા લોકો ખરીદી કરવા માટે આવે છે તેની જાણકારી મેળવવા માટે દરેક મોલમાં આ સિસ્ટમ કાર્યરત છે. પરંતુ આ કાઉન્ટિંગને મોલમાં જનાર લોકો સાથે કોઇ લેવા દેવા નથી. આ કાઉન્ટિંગ માત્ર જે તે મોલની ઓથોરિટી સાથે જ સંબંધ ધરાવે છે. આ સિસ્ટમને કારણે એક ફાયદો એ થાય છે કે મોલની ઓથોરિટીને ખબર પડે છે કે કયા સમયે અને કયા દિવસે લોકો મોલમાં વધારે આવે છે.
તસ્વીર :  સુરેશ મિસ્ત્રી

વિશ્વની નામશેષ થતી ક્રેઓલ ભાષામાં જાઝ મ્યુઝિક

ભારત પાસે આવેલા હંિદ મહાસાગરના રિયુનિયન ટાપુની ક્રેઓલ ભાષા આજે નામશેષ થવાને આરે છે. આ ભાષામાં ફ્રાન્સના જાણીતા કલાકાર ડેનિયલ વારો વસ્ત્રાપુર લેક ખાતે અનોખું સંગીત આપશે
ફ્રાન્સના તાબા હેઠળના હિન્દ મહાસાગરમાં આવેલા રિયુનિયન ટાપુના સ્ટેજ ગજવતા ડેનિયલ વારો અમદાવાદના વસ્ત્રપુર તળાવ પાસે આગામી ૧૨મી માર્ચે ફ્રેન્ચ મ્યુઝિકની રમઝટ બોલાવશે. ડેનિયલ વારોનો અવાજ મંત્રમુગ્ઘ કરી દે તેવો છે. એક વાર્તાકારની માફક ડેનિયલ વારો પોતાના સંગીતને રજૂ કરવાની અનોખી કળા ઘરાવે છે.
આ કલાકાર વિશે ખાસ લખવાનું કારણ એક જ છે કે ભારતની પાસે આવેલા રિયુનિયન ટાપુ આજે પણ ફ્રાન્સના તાબા હેઠળ છે. અહીં ફ્રેન્ચ કલ્ચર ચલણમાં છે. છતાં રિયુનિયન આઈલેન્ડમાં ક્રેઓલ અને મલોયા નામની બે સંસ્કૃતિ વિશ્વ વિખ્યાત છે. અહીંના લોકો શાંતિ પ્રિય હોવાના કારણે અહીંના એક એક સાંસ્કૃતિક સ્થાપત્યો વિશ્વ પ્રસિઘ્ઘ છે. આવા પ્રદેશથી ડેનિયલ વારો પોતાનું એક અલગ પ્રકારનું સંગીત લઈને અમદાવાદ આવી રહ્યા છે. ડેનિયલ વારો ક્રેઓલ અને મલોયા ભાષામાં પોતાનું સંગીત પિરસશે. આ બંન્ને ભાષા આપણા માટે નવી છે. પરંતુ સંગીતના સૂરો તો દરેક વ્યક્તિ અંતરથી માણી શકે છે.
 ડેનિયલ વારોની બીજુ વિશેષતા એ છે કે તેમના ગીતોમાં ફ્રાન્સનું કલ્ચર, રંગભેદ, પ્રેમ અને મૃત્યુને વઘુ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
ડેનિયલ વારો સાથે તેના ચાર સાથીદારો પણ ક્રેઓલ ઈન્સ્ટ્રુમેન્ટ સાથે પર્ફોર્મ કરશે.વોમેક્સ એવોર્ડ વિજેતા ડેનિયલ વારો ભારતના જુદા જુદા શહેરોમાં પોતાનું પર્ફોમન્સ આપશે. ૨૦૧૦માં કોપન હેગનમાં ભરાયેલ વોમેક્સ મ્યુઝિક માર્કેટમમાં ડેનિયલ વારોને ૨૦૧૦નો બેસ્ટ વર્લ્ડ મ્યુઝિશિયન વોમેક્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ડ આ અંગે એલિયન્સ ફ્રોન્સેઝ અમદાવાદના ડાયરેક્ટ ફિલીપ માર્ટિન કહે છે કે, લોકોના મનને તંદુરસ્ત કરવા માટે આ મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના દરેક લોકો આ મ્યુઝિક કોન્સર્ટના ફ્રી ઓફ કોસ્ટમાં આનંદ માણી શકશે.

૫ x ૩ સે.મીનું ટચૂકડું મિનિએચર મેકબેથ

 વિખ્યાત નાટયકાર વિલિયમ શેક્સપિયરનું મેકબેથ પુસ્તક ધરાવનાર અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષના રતિલાલ મંડલીને થોડા સમય પહેલાજ લિમ્કા બુક અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. વિશ્વમાં એક માત્ર તેમની પાસે આ પુસ્તક છે. અને આ પુસ્તક ૨૮૫ વર્ષ જુનું છે. તથા વિશ્વનું નાનામાં નાનું પુસ્તક છે. વ્યવસાયે શિક્ષક એવા રતિલાલભાઇ નાનપણથી જ પુસ્તકપ્રેમી છે. શેક્સપિયરનું આ અમૂલ્ય પુસ્તક તેમને ૧૯૭૫માં અમદાવાદની ગુજરી બજારમાંથી મળ્યું હતું. ત્યારે રતિલાલભાઇ પીટીસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા. તેમને આ પુસ્તક ખરીદવા માટે ૫૦ રૃપિયાની જરૃર હતી, પરંતુ તેમની પાસે પૈસા નહોતા તેથી તેમણે મિત્રો પાસેથી ૫૦ રૃપિયા ઉધાર લઇને આ પુસ્તક ખરીદ્યું હતું.

સમગ્ર વિશ્વમાં શેક્સપિયરનું મેકબેથ નાટક ખૂબ જ જાણીતું છે. નવાઇની વાત એ છે કે આ પુસ્તકનું વજન માત્ર ૧૬ ગ્રામ જ છે. અને આ પુસ્તક માચીસ બોક્સમાં પણ આવી જાય એટલી નાની સાઇઝનું છે. આ પુસ્તક ૩ સે.મી લાંબુ, ૫ સે.મી પહોળું અને ૧.૫ સે.મી ઊંચું છે અને કુલ ૩૧૫ પાના છે.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા રતિલાલ માંડલી વિશ્વના એકમાત્ર વ્યક્તિ છે જેમની પાસે વિલિયમ શેક્સપિઅર દ્વારા લિખિત નાટક મેકબેથની મિનિએચર પ્રતિકૃતિ છે. આ અનોખા સંગ્રહ બદલ તેમને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે

સમગ્ર વિશ્વમાં નાનામાં નાનું પુસ્તક ધરાવનાર એક માત્ર રતિલાલભાઇને ૨૦૧૦માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને ૨૦૧૧માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યંંુ છે. આ પુસ્તક ઇ.સ. ૧૬૨૬માં અલાઇડ પબ્લિકેશન દ્વારા લંડનથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. અને રતિલાલભાઇના હાથમાં આ પુસ્તક આવતા તેમણે ખૂબ મહેનત કરીને આ પુસ્તકની સાચવણી કરી છે.

માઇક્રો સાઇઝમાં હોવા છતાં પણ આજે આ પુસ્તકના અક્ષરો નરી આંખે વાંચી શકાય છે. આ અંગે રતિલાલભાઇ કહે છે કે, ખુલ્લી હવામાં ભેજ રહેલો હોવાથી તેની અસર પુસ્તકના પાના પર થાય છે. તેથી મેં આ પુસ્તકને સાચવવા માટે પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરીને અકે સ્પેશિયલ બોક્સમાં રાખ્યું છે કે જેથી કરીને તેમાં હવા ના જઇ શકે. અને આ પુસ્તકમાં શબ્દોની સાથે સાથે ચિત્રો પણ દોરેલા છે.
તસ્વીર :  સુરેશ મિસ્ત્રી

રૂ.૫૦૦૦ની પ્લેટ તૈયાર કરતા ફાઈવસ્ટારના શેફ સાંજે રૂ.૩૦નું સાદું ભોજન કરે છે

ગાંઘી આશ્રમ પાસે ઘરે બનાવેલું ભોજન પીરસતા પરિવારો સાથે બેસીને આશ્રમ રોડ પર આવેલી ફાઈવસ્ટાર હોટલના શેફ અને તેમનો ક્રુ સ્ટાફ રોજ સાદા ભોજનની મજા માણે છે
 કોઈ ફાઈવ સ્ટાર હોટલના શેફ કે વેઈટરને મળવાનું થાય તો કોઈપણ વ્યક્તિ એક પ્રશ્ન તરત જ પૂછી લે છે કે તમારે તો રોજ ફાઈવસ્ટાર હોટલમાં જમવાનો લાભ મળતો હશે નહીં ? જવાબ મળે ‘હા’.અમદાવાદના આશ્રમ રોડ વિસ્તાર પર આવેલી ફાઈવ સ્ટાર હોટલના શેફ,આસિસ્ટન્ટ શેફ અને વેઈટર રેગ્યુલર રીતે ત્રીસ રૂપિયામાં ઘરેલું ભોજન ખાવાનું વઘુ પસંદ કરે છે.
 કારણ માત્ર એક જ છે કે તેઓ ફાઈવ સ્ટાર હોટલોની ચટાકેદાર સ્વાદથી કંટાળી જાય છે.આ અંગે એક ફાઈવ સ્ટાર હોટલના શેફ રસોયો રાધે શર્મા (નામ બદલ્યું છે) કહે છે કે, લોકો હોટલમાં જમવા માટે આવતા હોય છે જ્યારે અમે હોટલની બહાર વીશીમાં જમવા માટે જઈએ છીએ. કારણ કે શાકભાજી ભલે જુદા જુદા હોય પણ દરરોજ એક જ પ્રકારના સ્વાદ અને મસાલાથી ભરપૂર શાક તથા મેંદાથી કંટાળીને હોટલનો સ્ટાફ બહારની રસોઈ ખાવાનું પસંદ કરે છે. આ અંગે એક હોટલનો આસિસ્ટન્ટ શેફ રાજુ બનીયાલ શર્મા (નામ બદલ્યું છે) કહે છે કે, હોટની રસોઈ બનાવતી વખતે બઘું જ મીક્સ થતું હોય છે.
 એ જોઈને જ જમવાની ઈચ્છા મરી જાય છે. તેથી હું મેસમાં જમવા માટે જાવ છું. તેઓ રસોઈ બનાવીને કંટાળી જતા હોવાથી પોતાના માટે અલગ રસોઈ બનાવવાને બદલે બહારની સાદી રસોઈ જમવાનું વધારે પસંદ કરે છે.આ અંગે અન્ય એક ફાઈવ સ્ટાર હોટલના કિચનમાં કામ કરતા ક્રિષ્ના ગુપ્તા કહે છે કે, રસોઈ બનાવતી વખતે સ્વાદથી જ મારૂં પેટ ભરાઈ જાય છે. તેથી હોટલની રસોઈના સ્વાદ કરતાં મને સાદી રસોઈનો સ્વાદ વધારે ગમે છે. તેથી હું ડેઈલી મેસની રસોઈ ખાવા માટે જાઊં છું.

હું હોટલના સ્વાદથી એટલો કંટાળ્યો છું કે હવે તો હોટલની રસોઈ શાખવાની પણ ઈચ્છા નથી થતી. જો કોઈ પણ માણસ એકવાર હોટલના કિચનમાં એન્ટ્રી કરીને જોઈ તો તે જિંદગીમાં ક્યારેય હોટલનું જમવાનું નહીં ખાય એ હું ગેરેન્ટી આપુ છું. હું ૫૦૦ રૂપિયાથી ૫૦૦૦ હજાર રૂપિયા સુધીની એક ડીસ બનાવુ છું તો પણ મને બહારની ૩૦ રૂપિયાની સાદી ડીસ વધારે સારી લાગે છે.
 આ અંગે આશ્રમ રોડ પર પોતાના ઘરે ૩૫ રૂપિયામાં સાત્ત્વિક થાળી પીરસતા પાર્થ ચૌહાણ કહે છે કે, મારા ઘરે આશ્રમ રોડની ફાઇવસ્ટાર હોટલના રસોયા અને વેઇટરો કઢીને રોટલી જમવા માટે આવે છે. મારી સાદી રસોઇ ખાઇને કહે છે કે, આવી રસોઇ તો અમે પણ નથી બનાવી શકતા. આમ આપણને ભલે ફાઇવ સ્ટાર હોટલમાં જમવાનો શોખ હોય પરંતુ ફાઇવ સ્ટાર હોટલના શેફ તો ગૃહિણીના ઘરે બનતું સાદુ જમવાનું જ પસંદ કરે છે.
 આ વાત પરથી સ્વાદ રસિયા ગુજરાતીઓ માટે એક જ મેસેજ છે કે ખાવાનું ચાહે ગમે તેટલું મોંધું હોય પણ મેંદા,મસાલા અને ફેટી ફૂડથી ફાઈવસ્ટાર હોટલના શેફ પણ કંટાળે છે.

ફેનાટિકા ડ્રામા ફેસ્ટિવલમાં રજૂ થઈ માનવ સંવેદના

 અમદાવાદની એલિયોન્સ ફ્રોન્સેઝ દ્વારા યુવાનોને થિયેટર સુધી લઇ જવા માટે છેલ્લા એક વર્ષથી પહેલા ફેનાટિકા થિયેટર ક્લબની રચના કરી હતી. ફેનાટિકા થિયેટર ક્લબના એક વર્ષ પૂર્ણ થયાના નિમિત્તે એલિયોન્સ ફ્રોન્સેઝ દ્વારા આજતી પ્રથમ વાર બે દિવસીય ફેનાટિકા થિયેટર ફેસ્ટિવલ યોજવામાં આવ્યા હતો. જેમાં બે ફ્રેંચ નાટકોની રજૂઆત કરવામાં આવ્યા હતા. આ બે નાટકોમાંથી એક નાટક અંતરાલ જાણીતા નાટયકાર હસમુખ બારાડી દ્વારા ગુજરાતી ભાષામાં ભાષાંતર કરીને રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજુ નાટક ધી ઇમેજનરી ઇનવેલિડ છે. આ બંને નાટકોનું દિગ્દર્શન એલિયોન્સ ફ્રાન્સેજના કલ્ચરલ કોઓર્ડિનેટર ચિંતન પંડયાએ કર્યું હતું.

અમદાવાદની એલિયોન્સ ફ્રાન્સેઝ દ્વારા યોજવામાં આવેલા ફેનાટિકા થિયેટર ફેસ્ટિવલમાં ૧૭મી સદીનું ધી ઇમેજનરી ઇનવેલીડ અને અંતરાલ એકાંકીમાં માનવસહજ ભાવોને રજૂ કરવામાં આવ્યા

બે ગરીબ નોકરાણીઓ અને એક ધનવાન મેડમ એમ ત્રણ પાત્રોથી બનેલા આ એકાંકીમાં બે વર્ગ વચ્ચેના ભેદને સુંદર રીતે વણી લેવામાં આવ્યો હતો.આ નાટકમાં નોકરાણીનો રોલ ભજવનાર આંશી શાહ કહે છે, સમાજમાં થતી બહુ નાની નાની વાતોમાં ગરીબ- ધનવાન વચ્ચેના ભેદ સ્પષ્ટ થતા હોય છે.તો વળી મેડમનો રોલ ભજવાનર શ્રોયસી મહેતા કહે છે કે, આ નાટક ઉદ્દેશ્યામ્તક છે. જેનાથી સમાજમાં પ્રવર્તતી હકીકતનો આપણને ખ્યાલ આવે છે. જ્યારે બીજુંં નાટક ધી ઇમેજનરી ઇનવેલીડમાં બાર કેરેક્ટર પરફોર્મ કરે છે. ૧૪મી સદીના આ કોમેડી નાટક છેમાં મુખ્ય પાત્રની આજુબાજુ સહાયક પાત્રો પોતાના અભિનય દ્વારા દર્શકોને હસાવવાનો પ્રયત્ન કરે છે. અને મુખ્ય પાત્રને હાઇપોટિઝમ નામની બીમારી છે. તેથી બીજાને ચેપ લાગે છે અને આખા એકાંકી દરમ્યાન કોમેડીની એક લહેર છવાઈ જાય છે. આ અંગે નાટકના દિગ્દર્શક ચિંતન પંડયા કહે છે કે, યુવાનોને થિયેટરનું ફોર્મલ સ્ટેજ મળી રહે તથા યુવાનો રંગભૂમિ પ્રત્યે રસ લેતા થાય એ માટે આ નાટય ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
તસ્વીર :  સુરેશ મિસ્ત્રી

ખુલ્લા પગે ચાલીને ૫૦ લાખની પસ્તી ઉઘરાવવાનો સંકલ્પ

 અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા નવકાર યુવક મંડળના યુવાનો રવિવારે સવારમાં પોતાનું સ્કૂટર અથવા ગાડી લઇને જુદી જુદી સોસાયટીમાં જઇને ઘરે ઘરેથી પ સ્તી અને નકામા તેલના ડબ્બાઓ ઉઘરાવવા માટે નીકળી જાય છે. નવકાર યુવક મંડળના ૪૫ સભ્યો છેલ્લા ત્રણ વર્ષથી વાસણા વિસ્તારની સોસાયટીમાંથી પસ્તી ભેગી કરવાનું કામ કરે છે. નવાઇની વાત એ છે કે આ યુવાનો રવિવારે વીકેન્ડની મોજશોખ કરવાને બદલે પસ્તી ભેગીને જ આનંદ માણે છે. જરૃરીયાતવાળા લોકોને દવા, સ્કૂલની ફી તથા ભોજન આપી શકાય તે માટે આ યુવાનોએ આ અભિયાન ચાલુ કર્યું છે. આ અંગે આ ગુ્રપના રાહુલભાઇ શાહ કહે છે કે, આજના જમાનામાં યુવાનો મોજશોખની પાછળ દોડી રહ્યા છે ત્યારે યુવાનો સમાજને ઉપયોગી થાય તથા તેનામા સારા સંસ્કાર આવે તે માટે અમે આ અભિયાન હાથ ધર્યું છે.

અમદાવાદના નવકાર યુવક મંડળના સભ્યો રવિવારે વાસણા વિસ્તારની સોસાયટીમાંથી ઘરે ઘરે જઇને ગરીબોની સેવા કરવા માટે પસ્તી ઉઘરાવે છે. છેલ્લા બે વર્ષમાં તેમણે સાડા પાંચ લાખ રૃપિયાનું ભંડોળ ભેગું કર્યું છે. અને આ પ્રવૃત્તિ દ્વારા ૫૦ લાખનું ભંડોળ ભેગુ કરવાનું નક્કી કર્યું છે

મહિનામાં નક્કી કરેલા બે રવિવારે આ ગુ્રપના યુવાનો ઘેર ઘેરથી પસ્તી ઉઘરાવીને અકે જગ્યાએ એકઠી કરે છે. આવી રીતે પસ્તી ઉઘરાવીને આ ગુ્રપે અત્યાર સુધીમાં સાડા પાંચ લાખ રૃપિયા એકઠા કર્યા છે, અને આ પૈસામાંથી તેઓ ગરીબો, નિરાધાર અને જરૃરિયાતવાળા લોકોને મદદ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે અ ાગુ્રપના યુવાન પારસ શાહ ખુલ્લા પગે પસ્તી ઉઘરાવવા માટે જાય છે. તેમણે એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી પસ્તી ઉઘરાવીને ૫૦ લાખનું ભંડોળ ભેગું નહીં તાય ત્યાં સુધી તેઓએ ચંપલનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે પારસ શાહ કહે છે કે, ૫૦ લાખનું ભંડોળ ભેગુ થતા ઓછામાં ઓછા ૧૬થી ૨૦ વર્ષ લાગગશે. અને જ્યાં સુધી ૫૦ લાખ ભેગા નહીં થાય ત્યાં સુધી હું ખુલ્લા પગે ફરીને પસ્તી ભેગી કરીશ.

આ ગુ્રપમાં જે સભ્યો પસ્તી ઉઘરાવવા માટે જાય છે તે બધાં વેલ સેટ છે. કોઇને ફેક્ટરી છે તો કોઇને સારો બિઝનેસ છે. તો કોઇ સર્વિસ કરે છે. છતાં પણ તેઓ આ પ્રવૃત્તિ દ્વારા સેવાકાર્ય કરે છે. આ અંગે આશિષ શાહ કહે છે કે, જે લોકો પાસે કમાવવાના સોર્સિસ ના હોય અથવા કોઇ ગરીબ મા- બાપ પાસે પોતાના છોકરાને ભણાવવા માટે સ્કૂલ ફી ના હોય એવા લોકોને અમે હેલ્પફૂલ થવા માટે આ અભિયાન શરૃ કર્યું છે. આ ગુ્રપના બધાં જ સભ્યો પોતાની નૈતિક ફરજ સમજીને વોલેન્ટરી પોતાનું પેટ્રોલ ખર્ચ કરીને પસ્તી ઉઘરાવવા માટે નીકળી જાય છે. આ અંગે આ ગુ્રપના કાર્યકર સનીભાઇ શાહ કહે છે કે, એક સેવાના ઉદ્દેશથી અમે આ પ્રવૃત્તિ ચાલુ કરી છે. અને ઘરે ઘરેથી ઉઘરાવેલી પસ્તીને રાખવા માટે મેં મારી પોતાની ઓફિસ આપી દીધી છે. જેમાં અમે પસ્તી ભેગી કરીએ છીએ, અને પછી એક સાથે વેંચી દઇએ છીએ.

નવકાર યુવક મંડળની આ પ્રવૃત્તિ જોઇને આપણને પણ સમાજે માટે કંઇક સેવા કાર્ય કરવાની ઇચ્છા થાય છે. આ ગુ્રપના સભ્યો લગભઘ વાસણા વિસ્તારથી ૮૦ જેટલી સોસાયટીમાંથી પસ્તી ભેગી કરે છે. લોકોનો પણ આ ગુ્રપના સભ્યોને સારો સહકાર મળે છે. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે ઘણાં લોકો ૨૦-૩૦ રૃપિયાની પસ્તી આપવાની ના પણ પાડે છે.તસ્વીર :  સુરેશ મિસ્ત્રી

નાના બાળકોમાં રોબોટિક ઈનોવેશનનો ક્રેઝ

ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ૨, માર્ચ સુધી સાયન્સ ઇન સોશ્યલ વિષય પર એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. આ સાયન્સ ઉત્સવમાં સાયન્સ અને સમાજને આધારિત વિવિધ વિષયો પર ૫૦થી વધારે સ્ટોલ મુકવમાં આવ્યા છે. શનિવારે અમદાવાદની વિવિધ સ્કૂલના બાળકોએ ઉત્સાહપૂર્વક આ એક્ઝિબિશન નિહાળ્યું હતું, અને સમાજમાં સાયન્સનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની માહિતી વિવિધ સ્ટોલ પરથી મેળવી હતી.
સાયન્સ સિટી અમદાવાદ ખાતે યોજવામાં આવેલા સાયન્સ ઉતસ્વમાં વિવિધ સ્કૂલના નાના બાળકાએ વિવિધ પ્રકારના રોબોટ બનાવીને તેમના રોબોટિક ઈનોવેશન રજૂ કર્યા.


સાયન્સ સિટી દ્વારા યોજવામાં આવેલા આ એક્ઝિબિશનમાં ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતો નડિયાદના એલ. એન. મેકવાને વેસ્ટ વસ્તુઓમાં બનાવેલા હાઇડ્રોલિક રોબોટને પ્રદર્શનમાં મૂક્યો હતો. આ અંગે મેકવાન કહે છે કે, મેં આયર્નમેન મૂવિ પરથી પ્રેરણા લઇને વિવિધ વેસ્ટ વસ્તુઓમાંથી હાઇડ્રોલિક રોબો બનાવ્યો છે. આ હાઇડ્રોલિક રોબો મનુષ્યના શરીરની જેમ દરેક પ્રકારની મુવમેન્ટ કરી શકે છે. ખાસ કરીને ઘરની સફાઇ, પોતું મારવું, ઝાડુંું મારવું જેવા ઘર કામ પણ આ રોબટ કરી શકે છે. આ ફોર વ્હીલ રોબોને રિમોટની અંદરની પેરેલલ સિસ્ટ્મ દ્વારા કન્ટ્રોલ કરી શકાય છે.

આ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થનાર સાતમાં ધોરણમાં ભણતો શિવમ ત્રિવેદીએ બનાવેલી એક માત્ર ઉંધી ઘડિયાળ અને જમીન તથા પથ્થરની રંગ બદલવાની પ્રક્રિયાને જોઇને લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. આ અંગે શિવમ કહે છે કે, મેં લોકોને જમીન અને પથ્થર કલર બદલે છે તેની ડેફિનેશન લોકોને આપી છે.

આ ઉપરાંત આ એક્ઝિબિશનમાં પર્યાવરણ, હેલ્થ, વાઇલ્ડ લાઇફ, પ્લાસ્ટિકના ઉપયોગથી થતું પ્રદૂષણ જેવા વિષયોની માહિતી મેળવવા માટે લોકોની ભીડ જામી હતી. તો બીજી તરફ ગ્રીબોટ ટેક્નોલોજી દ્વારા મૂકવામાં આવેલા એજ્યુકેશનલ રોબોએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. સેન્સરની મદદથી આ રોબો સામેની વસ્તુથી દૂર રહી શકે છે. અને નિશ્ચિત કલર સેન્સર દ્વારા તે પોતાની જાતે જ જે તે કલર ઉપર ચાલે છે. આ અંગે પ્રજ્ઞાા તરાસીયા કહે છે કે, આ રોબોટને મોબાઇલ, કોમ્પ્યૂટર, ઇન્ટરનેટ, ટીવી રિમોટ જેવી મલ્ટિ વસ્તુઓ દ્વારા પણ કંટ્રોલ કરી શકાય છે. તથા ચલાવી શકાય છે.
તસ્વીર :  સુરેશ મિસ્ત્રી

ગાંઘીનગર પાસે બનતા હર્બિવોરસ પાર્કમાં, હરણ, ચિંકારા અને કાળીયાર મુક્ત રીતે ફરશે


ગુજરાતના બાળકો પર્યાવરણથી નજીક આવે તે માટે ખાસ ગાંધીનગરમાં આવેલા ઈન્દ્રોડા નેચર પાર્કની પાસે આવેલા શાહપુર-લવારપુર પાસે ૩૦૦ એકરની નદી કિનારાના વિશાળા કોતરોમાં અરણ્ય પાર્ક બનાવવામાં આવ્યો છે. જે આગામી ભવિષ્યમાં એક હર્બિવરસ પાર્ક બનશે. આમ ઈન્દ્રોડા પાર્ક પાસે આવેલી સાબરમતી નદીના સામેના કાંઠે આવેલા વિશાળ અરણ્ય પાર્કમાં હરણ, સાબર, વાંદરા, નીલ ગાય જેવા તૃણાહારી પ્રાણીઓ ખુલ્લા જંગલમાં ફરતા જોવા મળશે. છેલ્લા કેટલાંય વર્ષોથી ગુજરાતના બાળકોમાં પર્યાવરણની એક જાગુ્રતિ આવી છે.બાળકોની પ્રકૃતિ પ્રત્યેની ભૂખને સંતોષવા માટે અરણ્ય પાર્ક અમદાવાદ અને ગાંધીનગર પાસેનું બેસ્ટ ડેસ્ટિનેશન છે.

આ એક ઉત્તમ પ્રકારનો કોન્સેપ્ટ છે જેમાં આપણે સીઘા જ પ્રકૃતિના મૂળરૂપ સાથે સંપર્કમાં આવીને તેને માણી શકીએ છીએ.પરંતુ વાહનો બહાર રાખીને આ પ્રકારની શુઘ્ઘ જગ્યાને માણવામાં આવે તો ભવિષ્યમાં પણ આવી વિશાળા પ્રાકૃતિક જગ્યા પ્રાણીઓ માટે અને પર્યાવરણ માટે વઘુ સારી રીતે જળવાઈ રહે. અમેરિકામાં આ પ્રકારના કોન્સેપ્ટ છે પરંતુ શિસ્ત સાથે જળવાઈ રહ્યા છે. ત્યાં આ પ્રકારના પાર્કમાં પ્રવાસીઓ ચાલીને જ જોવા જાય છે. આપણે સ્વયં શિસ્તથી વાહનોની અવરજવર રોકીશું તો જ પ્રકૃતિની યોગ્ય રીતે જાણવણી થઈ શકશે. અરણ્ય પાર્ક ગાંઘીનગરથી વાયા લવારપુર- ચિલોડા જવાના રસ્તે સાબરમતી નદીનો બ્રિજ ઓળંગીને જઈ શકાય છે.પાર્કમાં ચાલતા ચાલતા જ અનેક નીલગાયોના ટોળાઓ અને વાંદરાઓને સરળતાથી કોઈપણ પર્યાવરણ પ્રેમી માણી શકે છે. આજ જગ્યાએ એક વિશાળ બટરફ્લાય પાર્ક બનાવવાનું આયોજન પણ થઇ ચૂક્યું છે.

તસ્વીર : સુરેશ મિસ્ત્રી

ખાદી પહેરીને ચા પીવા આવો, રૂ.૧નું ડિસ્કાઉન્ટ મેળવો


સામાન્ય રીતે ઓક્ટોબર મહિનો આવે એટલે આપણને ખાદી ભંડારમાં ખાદીની ખરીદી માટે ખાસ વળતરના પાટિયા જોવા મળે છે. પરંતુ હવે તો સરકારે પણ ખાદીની ખરીદી પરનું કન્સેશન આપવાનું બંધ કરી દીઘું છે. ત્યારે અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તારમાં ચાની લારી ચલાવતા કાલુએ જે ગ્રાહકો ખાદીના કપડા પહેરીને આવે તેને એક રૂપિયો કન્સેશન આપવાનું નક્કી કર્યું છે. કાલુ દરબાર રાજસ્થાનના ઉદેપુરના એક નાનકડા ગામડાનો વતની છે. અને તે છેલ્લા ૩૫ વર્ષથી પોતાના કુટુંબી સભ્યો સાથે અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તારમાં ચાની લારી ચલાવીને પોતાના પરિવારની જવાબદારી નિભાવે છે.

અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તારમાં ચાની કિટલી ચલાવતા મૂળ રાજસ્થાનના કાલુએ ગાંધીજીના ખાદીના વિચારને ટકાવી રાખવા માટે જે ગ્રાહકો ખાદીના કપડા પહેરીને ચા પીવા માટે આવે તેને એક રૂપિયો કન્સેશન આપવાનું નક્કી કર્યુ


આ અંગે કાલુ કહે છે કે, હું રાજસ્થાનનો વતની હોવા છતાં ગાંધીજી પ્રત્યે મને નાનપણથી જ ખૂબ આર અને પ્રેમ છે. સંજોગો વસાત અમદાવાદમાં ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠની સામે જ મારી ચાની લારી હોવાથી વિદ્યાપીઠના અનેક વિદ્યાર્થીઓ ખાદી પહેરીને મારી કિટલી પર ચા પીવા માટે આવે છે. તેમને જોઇને મને ખાદી પ્રત્યે વધારે પ્રેમ જાગ્યો. તેથી શરૂઆતમાં અમે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને પાંચ રૂપિયાની જગ્યાએ એક રૂપિયો કન્સેશન આપીને ચાર રૂપિયામાં ચા આપવાનું નક્કી કર્યું. જો તમે કાલુની કિટલી પર ખાદી પહેરીને ચા પીવા જશો તો તમને હવે એક રૂપિયો કન્સેશન મળશે. 
આ અંગે કાલુની સાથે કામ કરતા હરીશભાઇ દરબાર કહે છે કે, ખાદી પહેરેલી હોવાથી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ તરત ઓળખાઇ જાય છે. તેથી કન્સેશન આપવામાં પણ તકલીફ નથી પડતી, પરંતુ આજના યુવાનો ખાદીની વિચારધારાને ભૂલી રહ્યા હોવાથી કાલુએ નક્કી કર્યુ કે કોઇ પણ ગ્રાહક ખાદી પહેરીને આવે તો તેને પૂછ્યા વગર એક રૂપિયો કન્સેશન આપવાનું. જેને કારણે આજના યુવાનોમાં ખાદીનો પ્રચાર પ્રસાર પણ થશે.
આ અંગે શ્યામ સુંદર કહે છે કે, જો વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ક્યારેક મિલના કપડા પહેરીને આવે તો અમે તેને કન્સેશન આપતા નથી. અને હવે તો અમને ખાદી પહેરીને આવતા ગ્રાહકોને કન્સેશન આપવાની ટેવ પડી ગઇ છે. આજે જ્યારે યુવાનો ગાંધી વિચારથી દૂર જઇ રહ્યા છે ત્યારે ગાંધી વિચારને વળેલા કાલુએ ગાંધીજીના ખાદીના વિચારને ટકાવી રાખવા તથા લોકો ખાદી પહેરતા થાય તે માટે અનોખું ખાદી બચાવો અભિયાનની શરૂઆત કરી છે.


તસ્વીર : સુરેશ મિસ્ત્રી

Friday, May 27, 2011

મા-દીકરાના કપરા સંઘર્ષ પછીની મીઠી સફળતા

અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતા સાગર શાહે પોતાની ટ્યૂશન ફી ભરવા માટે ધો. ૧૦ના વિદ્યાર્થીઓને ટ્યૂશન કરાવી પોતાની ટ્યૂશન ફી ભરીને ધો. ૧૨માં ૭૦૦માંથી ૬૪૫ માર્ક મેળવીને એવન ગ્રેડમાં ઉત્તિર્ણ થયો છે. એચ.બી. કાપડિયા સ્કૂલ શાહીબાગમાં ભણતો સાગર શાહ તેમના મામાના ઘરે રહે છે. આઠ વર્ષ પહેલા સાગરના માતા અલકાબેન શાહ પોતાના ઘરે ખાખરા અને પાપડનો ગૃહ ઉદ્યોગ કરીને પોતાના દીકરાને ભણાવ્યો છે.


સાગરના માતા અલકાબેન શાહ પોતાના ઘરે ખાખરા અને પાપડનો ગૃહ ઉદ્યોગ કરીને પોતાના દીકરાને ભણાવ્યો છે. ૧૨માં ધોરણમાં તેમણે પોતાના ભણતરની સાથે ધો. ૧૦ના વિદ્યાર્થીઓને ટ્યૂશન કરાવીને પોતાના ટ્યૂશનની ૧૩, ૦૦૦ ફી જાતે જ ભરી હતી


ઘરની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે સાગરે ધો. ૧૨માં ભણવાની સાથે સાથે કામ કરીને પોતાનો ખર્ચો પણ ઉપાડ્યો છે. સાગરે ધો. ૧૦માં પણ ૯૧ ટકા મેળવ્યા હતા. ૧૨માં ધોરણમાં તેમણે પોતાના ભણતરની સાથે ધો. ૧૦ના વિદ્યાર્થીઓને ટ્યૂશન કરાવીને પોતાના ટ્યૂશનની ૧૩, ૦૦૦ ફી જાતે જ ભરી હતી. સાગર તેમની સફળતાનો શ્રેય તેમના મામા- મામી અને માતાને આપે છે. આ અંગે સાગર કહે છે કે, મારા ભણતર માટે મારી મમ્મી છેલ્લા આઠ વર્ષથી ખાખરા- પાપડનો ગૃહ ઉદ્યોગ કરે છે. જેથી મેં પણ નક્કી કર્યું કે હું મારા ભણતરનો ભાર મારી જાતે જ ઉપાડીશ. સાગરને એકાઉન્ટમાં રસ હોવાથી તે સી.એ કરવા માગે છે. નવરાશના સમયે સાગર રાત્રે તેમની માતાને ખાખરા- પાપડ બનાવવામાં પણ મદદ કરતો હતો. ઘરની જવાબદારી અને દીકરાના ભણતરની જવાબદારી તેમણે ખાખરા- પાપડ બનાવીને જ ઉપાડી છે.

મારા પિતાની મજૂરીને વિચારીને હું મહેનત કરતી થઈ

કાલુપુર ચોખા બજારમાં કામ કરતા વસંતભાઇ પટેલની પુત્રીએ ૯૧ ટકા મેળવ્યા, પરંતુ પિતાના પાંચ હજાર પગારને કારણે સી.એને બદલે તેમને બી.કોમ કરવું પડશે. તેમના પિતા કહે છે કે છોકરીને સી.એ કરવાની ઇચ્છા છે પણ ખર્ચના પૈસા નથી

મણીનગર જીવરાજ હાઉસંિગ બોર્ડ સોસાયટીમાં એક રૂમ રસોડામાં રહેતી અને જય સોમનાથ હાયર સેકન્ડરી સ્કૂલ ખોખરામાં અભ્યાસ કરતી મીતાક્ષી પટેલે ૭૦૦માંથી ૬૪૦ માર્ક્સ મેળવી ૯૧ ટકા સાથે એ વન ગ્રેડ મેળવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે મીતાક્ષીના પિતા વસંતભાઇ પટેલ છેલ્લા ૨૨ વર્ષથી કાલુપુર ચોખા બજારમાં કામ કરે છે. તેમણે પોતાના તમામ મોજશોખને નેવે મૂકીને પોતાની પુત્રીને ભણાવી છે. આ અંગે વસંતભાઇ કહે છે કે, મારો પગાર પાંચ હજાર રૂપિયા છે, અને આટલી મોંઘવારી અને ઊંચી ફી ભરીને મેં મારી પુત્રીને ભણાવી છે. એ માટે અમે બને તેટલી કરકસર કરી છે, પરંતુ આર્થિક સંકડામણને કારણ ેમીતાક્ષી ટ્યૂશન રાખ્યું નહોતંંુ.
આ અંગે મીતાક્ષી કહે છે કે, મારા પપ્પા મજૂરી કરીને મને ભણાવે એ જ મહત્ત્વની વાત છે. અને આટલા પગારમાં પહોંચીના વળાય એ સ્વાભાવિક છે. દિવસે સોસાયટીનો દેકારો હોવાથી મીતાક્ષી વાંચી પણ નહોતી શકતી. તેથી મીતાક્ષી રાત્રે ધાબા પર જઇને વાંચતી હતી, કારણ કે એક જ રૂમ- રસોડું ોવાથી ધાબા પર જ વાંચવું પડતંંુ હતું.
તેમણે પોતાના પરિવારની સ્થિતિને જાણીને ટ્યૂશન વિના જ ૯૧ ટકા મેળવ્યા એ સારી વાત કહેવાય. મીતાક્ષીને ગુજરાતી નવલકથા વાંચવાનો બહું શોખ છે. દર રવિવારે તે છાપાઓમાં આવતી નવલકથાઓ પરીક્ષા વખતે પણ વાંચી લેતી હતી. તેમણે પોતાની સફળતાનો શ્રેય તેમના મમ્મી- પપ્પા અને સ્કૂલને આપ્યો છે, પરંતુ હવે મુશ્કેલી એ વાતની છે કે તેમને સી.એ કરવાની ઇચ્છા છે, પરંતુ નબળી પરિસ્થિતિને કારણે તે સી.એને બદલે બી.કોમ કરશે.

દીકરા- દીકરીઓનું ઉંચું પરિણામ જોઈને પાનનો ગલ્લો ચલાવતા પિતા ઘુ્સકેને ઘુ્સકે રડ્યા

એચ.બી. કાપડિયા સ્કૂલ શાહીબાગનો વિદ્યાર્થી કુશલ અનકટે ધો. ૧૨માં ૯૩ ટકા મેળવ્યા છે. અમદાવાદના માણેકચોકની સાંકડીશેરીમાં નાનકડા રૂમમાં રહીને તેમણે પોતાના પિતાનું નામ રોશન કર્યું છે. તેમના પિતા ભરતભાઇ માણેકચોકમાં પાણીના પાઉચ વેંચીને અને પાનનો ગલ્લો ચલાવીને તેમના પુત્રને ભણાવ્યો છે. જ્યારે આર્થિક સંકડામણ હોવાથી કુશલની માતા સુધાબેન પણ ગાંધી રોડ પર સ્ટેશનરીમા ંજોબ કરતા હતા. આમ તેમના માતા- પિતાએ રાત્રે દોઢ વાગ્યા સુધી મજૂરી કરીને કુશલને ભણાવ્યો. કુશલ હવે સી.એ વીથ એમ.બી.એ કરવા માગે છે.


માણેકચોકમાં પાનનો ગલ્લો ચલાવનાર ભરતભાઇ અનડકટના પુત્ર કુશલે ૯૩ ટકા મેળવ્યા. તો રાયપુરની પોળમાં ઘરની અંદર જ નાનકડી પ્રોવિઝન સ્ટોર ચલાવતા જીજ્ઞેશભાઇની પુત્રી સોનિયા મોદી એ વન ગ્રેડ સાથે ઉત્તિર્ણ થઇ. તો સી.ટી.એમ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવનાર અને એક જ રૂમામાં છ સભ્યો સાથે રહીને આરતી ઠક્કરે પણ એ વન ગ્રેડ મેળવ્યો.



રાયપુરમાં રહેતી સોનિયા મોદી પોતાના પપ્પાને પ્રોવિઝન સ્ટોરમાં હેલ્પ કરવાની સાથે ધો. ૧૨માં એ વન ગ્રેડ સાથે ઉત્તિર્ણ થઇ છે. તેમના પિતા જીજ્ઞેશભાઇ રાયપુરની પોળમાં પોતાના ઘરે જ નાનકડી પ્રોવિઝન સ્ટોર ચલાવીને પોતાની પુત્રીને ભણાવી છે. વધારે પડતી ફાયનાન્સિયલ તકલીફને કારણે સોનિયાના મમ્મી પિન્કીબેન પણ પ્રોવિઝન સ્ટોરની સાથે સાથે સીઝનેબલ ધંધો કરે છે. સોનિયા હવે સી.એસ બનવા માગે છે.
જય સોમનાથ સ્કૂલમાં અભ્યાસ કરતી અને ધો. ૧૨માં એવન ગ્રેડ મેળવનાર આરતી ઠક્કરના પિતા સી.ટી.એમ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવે છે. આરતી ઠક્કર તેમના પરિવારના છ સભ્યો સાથે એક જ રૂમમાં રહે છે. અને આરતીને મોટેથી વાંચવાની ટેવ હોવાથી ઘરમાં બધા સૂઇ જતાં ત્યારે તે રાત્રે બાર વાગ્યા પછી વાંચતી હતી. અઆમ સંયુક્ત પરિવારની વચ્ચે રહીને પણ તેમણે પોતાના મમ્મી- પપ્પાની મહેનતને સાર્થક કરી છે.

સારા ટકા સાથે પ્રાકૃત જેવી પ્રાચિન ભાષાનું જ્ઞાન

 ધો. ૧૨ ઇંગ્લીશ મીડિયમમાં ૯૩ ટકા મેળવનાર જૈની શાહ જૈન ધર્મનો ગ્રંથોનો અભ્યાસ કરવા માટે વસંતકુંજ જૈન ઉપાશ્રયમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પણ શીખતી હતી. જૈન દર્શનના પગલે હું અભ્યાસમાં વઘુ સફળ થઈ

લીટલ ફ્‌લાવર હાઇસ્કૂલમાં અભ્યાસ કરનાર અને ધો. ૧૨માં ૯૩ ટકા મેળવનાર પાલડી વિસ્તારમાં જૈન પરિવારમાં રહેતી જૈની શાહ ઇંગ્લીશ મીડિયમમાં અભ્યાસ કરે છે અને સાથે જૈન ધર્મ પ્રત્યેના લગાવને કારણે વસંતકુંજ જૈન ઉપાશ્રયમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના ક્લાસ પણ કરતી હતી. ઇંગ્લીશ મીડિયમમાં હોવા છતાં જૈની શાહને ગુજરાતી વિષયમાં
ૉ૮૮ માર્ક્સ અને ઇંગ્લીશમાં ૮૩ માર્ક્સ છે. આ અંગે જૈની શાહ કહે છે કે, મને જૈન ધર્મ પ્રત્યે લગાવ હોવાથી હું જૈન ધર્મગ્રંથોનો અભ્યાસ કરવા માટે ઉપાશ્રયમાં સંસ્કૃત અને પ્રાકૃત શીખવા માટે જતી હતી. ઇંગ્લીશ મીડિયમમાં હોવા છતાં હું સાદા જીવનને મહત્ત્વ આપું છું, અને પંખો, ફ્રીઝ, ટીવીનો હું ભાગ્યે જ ઉપયોગ કરું છું. ૧૨માં ધોરણાં હોવા છતાં હું દિવસે જ વાંચતી હતી. લાઇટનો હું નહિવત્‌ ઉપયોગ કરું છું. તેમને જૈન ધર્મના પાંચ પ્રતિકમણ મોઢે છે. તથા જીવન વિચાર અને નવ તત્ત્વનો પણ અભ્યાસ કરેલો છે.
એકાઉન્ટમાં ઇન્ટરેસ્ટ હોવાથી જૈની હવે સી.એ બનવા માગે છે. અને જૈની કહે છે કે, હું આગળ ભણીશ તો પણ મારા ધર્મ અને આપણી પ્રાચીન ભાષા સંસ્કૃત અને માતૃભાષાને ક્યારેય નહીં ભુલું. એક રીતે જોવા જઈએ તો જૈનદર્શનમાં દર્શાવેલા નિયમોનું બરોબર પાલન કરીને જૈનીએ પોતાની સફળતાનો સાક્ષાત્કાર કર્યો છે.

મારા પિતા જે ના કરી શક્યા તે હું કરીશ

અમદાવાદની નવચેતન વિદ્યાલય પાલડીમાં અભ્યાસ કરતી ઘ્વની ચુડગર પતોાના પિતાનું સી.એ બનવાનું અઘુરું સપનું પૂર્ણ કરશે. ધો. ૧૨માં ૯૪ ટકા મેળવનાર ઘ્વની સી.એ. બનવા માગે છે. ઘ્વનિના પિતા શૈલેષભાઇ ચુડગર સી.એ બનવા મગાતા હતા, પરંતુ તેઓ સી.એની ફાઇનલ એક્ઝામમાં દસ વખત ટ્રાયલ કરવા છતાં તેઓ સી.એની ફાઇનલ એક્ઝામ પાસ ના કરી શક્યા. શેલેષભાઇ કહે છે કે, મેં ૧૯૭૯-૮૦માં સી.એની ફાઇનલ એક્ઝામમાં દસમી વખત ટ્રાય કરી હતી, છતાં પણ હું સફળ ના થઇ શક્યો. અત્યારે તેઓ એન્જિનિયરંિગ કંપનીમાં જોબ કરે છે. ૫૫ વર્ષના શૈલેષભાઇ સી.એ ઇન્ટર થયેલા છે, પરંતુ સી.એની ફાઇનલ એક્ઝામ પાસ ન કરી શક્યા.
સી.એની ફાઇનલ એક્ઝામમાં દસ ટ્રાયલ આપવા છતાં નિષ્ફતા મેળવનાર ૫૫ વર્ષના શૈલેષ ચુડગરની સી.એ બનવાની અઘુરી ઇચ્છા ધો. ૧૨માં ૯૪ ટકા મેળવનાર તેમની પુત્રી ઘ્વની પૂર્ણ કરશે. 


 તેમનું આ અધુરું સપનું તેમની પુત્રી ઘ્વની પૂર્ણ કરશે. આ અંગે ઘ્વની કહે છે કે, સી.એ કરવા માટે મારા પર કોઇ ફોર્સ નથી, પણ સી.એમાં સારું ભવિષ્ય હોવાથી મેજ સી.એ કરવાનું નક્કી કર્યું છે, અને મારા પપ્પાનું સપનું હું પૂર્ણ કરીશ.

Wednesday, May 18, 2011

ચોસઠ કળાઓને બચાવવાનું અનોખું અભિયાન

ગુજરાતની પ્રાચીન કળાઓને બચાવવા માટે વિવિઘ તાલુકાના જાણીતા આર્કિટેક, પ્રોફેસરો, શિક્ષકો, એડવોકેટ, એન્જિનિયર, બિઝનેસમેન સંસ્કાર ભારતી સંસ્થા દ્વારા પોતાના કામની સાથે સાથે રજાના દિવસોમાં વિસરાતી કલાને જાળવવાનું તથા વિવિધ પ્રકારની કલાના માઘ્યમથી સમાજમાં સંસ્કૃતિ સિંચનનું કાર્ય કરે છે
ભારતીય સંસ્કૃતિ અને આપણી મૂળ કલાઓ તેના ઓરિજિનલ રૂપમાં જ સચવાઇ રહે તે માટે ગુજરાતમાં ૧૯૮૯થી સંસ્કાર ભારતી સંસ્થા કામ કરી રહી છે. મહત્ત્વની વાત એ છે કે આ સંસ્થા સાથે જોડાઇને કામ કરનારા લોકો કોઇ પણ પ્રકારની અપેક્ષા વિના પોતાના ખર્ચે આપણી મૂળ કલા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે વોલન્ટરી કાર્ય કરી રહ્યા છે. જેમાં આર્કિટેક, પ્રોફેસરો, શિક્ષકો, એડવોકેટ, એન્જિનિયર,
બિઝનેસમેન જેવા સમાજના પ્રતિષ્ઠિત લોકો પોતાના કામની સાથે સાથે રજાના દિવસોમાં વિસરાતી કલાને જાળવવાનું તથા વિવિધ પ્રકારની કલાના માઘ્યમથી સમાજમાં સંસ્કૃતિ સિંચનનું કાર્ય કરે છે. લોકોને આપણી મૂળ કલા અને સંસ્કૃતિ પ્રત્યે કલાભિમુખ કરવા માટે ગુજરાતમાં એક હજારથી વધારે કલાકારો સંસ્કાર ભારતી સંસ્થા દ્વારા વોલન્ટરી કાર્ય કરે છે.

આજે ગામડામાં અનેક કલાકારો એવા છે જે આપણા મૂળ દેશી વાદ્યો વગાડે છે, પરંતુ તેઓ પોતાની કલાને સમાજ સુધી પહોંચાડી શકતા નથી. તેથી આવા કલાકારો એક મંચ ઉપર ઉપસ્થિત થાય અને તેમની કલા સમાજ સુધી પહોંચે તે માટે સંસ્કાર ભારતી સંસ્થાના સભ્યો વોલન્ટરી કાર્ય કરી રહ્યા છે. આ અંગે સંસ્કાર ભારતી સંસ્થામાં વોલન્ટરી કાર્ય કરતા સભ્યોએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા.
આ અંગે અમદાવાદના આર્કિટેક ઓજસ હિરાણી કહે છે, હું છેલ્લા ૨૨ વર્ષથી આ સંસ્થા સાથે જોડાઇને કલાકારો, વનવાસી કલાકારોને સાથે લઇને ભવાઇ, કઠપૂતળી, રાવણહથ્થો, વાદીઓ, પાઘડી બાંધવાની કલા જેવી વિસરાતી કલાના કલાકારોને એકઠા કરી તેમને સમજાના મુખ્ય વર્ગ સુધી પહોંચાડવાનું કામ કરું છું.

તો અન્ય એક ચાહક સંજય ઉપાઘ્યાય માને છે કે, છેલ્લા પાંચ વર્ષથી હું સંગીત કલા ઉપર કામગીરી કરું છું. વિજયનગરની પોળો અને આદિવાસી વિસ્તારોમાં આજે પણ એવા લોકો છે જે જુની દેશી પદ્ધતિથી જુના વાદ્યો વગાડે છે. આવા કલાકારોને જાહેરમાં લોકો સમક્ષ લાવવાનું કામ સંસ્કાર ભારતી દ્વારા કરું છું.

હિંમતનગરમાં શિક્ષણ સાથે સંકળાયેલા પ્રકાશ વૈદ્ય કહે છે, આપણી સંસ્કૃતિ અને કલા ટકી રહે તથા જુની કલાના કલાકારોને સમાજ સુધી લાવવા અને સમાજને કલા પ્રત્યે આકર્ષવા માટે હું છેલ્લા દસ વર્ષથી સંસ્કાર ભારતી સાથે જોડાઇને કલ્ચર એક્ટિવિટી કરું છું. સાહિત્ય, રંગમંચ, લલિત કલાઓ જેવી બધી જ કલાને તેના મૂળ રૂપમાં જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ.
હિંમતનગરમાં શિક્ષણ સાથે સંકળાયેલા પ્રકાશ વૈદ્ય કહે છે, આપણી સંસ્કૃતિ અને કલા ટકી રહે તથા જુની કલાના કલાકારોને સમાજ સુધી લાવવા અને સમાજને કલા પ્રત્યે આકર્ષવા માટે હું છેલ્લા દસ વર્ષથી સંસ્કાર ભારતી સાથે જોડાઇને કલ્ચર એક્ટિવિટી કરું છું. સાહિત્ય, રંગમંચ, લલિત કલાઓ જેવી બધી જ કલાને તેના મૂળ રૂપમાં જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ.


હું છેલ્લા બાર વર્ષથી સંસ્કાર ભારતી સાથે સંકળાઇને ઉત્તર ગુજરાતમાં વિવિધ પ્રકારની કલાનો પ્રચાર પ્રસાર કરું છું. આ માટે લોકોને સંગઠીત કરી અને વિવિધ પ્રકારના ઉત્સવો તથા કલાના કાર્યક્રમોનું આયોજન કરું છું.
- જયદીપ રાજપુત, એડવોકેટ, વિસનગર


 હું છેલ્લા દસ વર્ષથી આ સંસ્કાર ભારતી સાથે જોડાઇને આપણી મૂળ નાટ્ય કલાને જાળવવાનંુ કાર્ય કરું છું. ગામડાઓમાં જઇને આપણી નાટ્ય કલાનો પ્રચાર કરું છું. ખાસ કરીને યુવાનો આ અંગે જાગૃત થાય એ જરૂરી છે. જો યુવાનો જાગશે તો જ આપણી મૂળ ધરોહર સચવાઇ રહેશે.
- નયન વ્યાસ, હેડ ક્લાર્ક, નડિયાદ

સમાજમાં જે વિકૃતિઓ આવે છે એ કલાના માઘ્યમથી જ આવે છે. તેથી નવોદિત કલાકારોને જોડીને દેશનેવિકૃતિઓથી બચાવવાનું કામ કરીએ છીએ. પહેલા આપણને લોકગીતો, લગ્ન ગીતો જેવી કલાઓ વારસામાં મળતી, પરંતુ આજે કુટુંબ પ્રથા ભાંગી પડી હોવાથી આ કાર્ય અટકી ગયું. તેથી મેં મારું જીવન યુવાનો, શિક્ષણ અને ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે સમર્પિત કરી દીઘું છે.
- રાજુજી પરમાર, અઘ્યક્ષ, વિસનગર



નારિયેળના વેસ્ટ રેસામાંથી બનતા એન્ટીક આર્ટિકલો













હિંમતનગર જિલ્લાના ઈડરની બાજુમાં આવેલા બડોલી ગામના ઇન્દ્રસિંહ રાઠોડ છેલ્લા દસ વર્ષથી નારિયેળના વેસ્ટ રેસામાંથી બેસ્ટ આર્ટિકલ બનાવે છે અને ન્યુઝિલેન્ડ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશો સુધી આ વસ્તુઓની ડિમાન્ડ છે

હિંમતનગર જિલ્લાના ઈડરની બાજુમાં આવેલા નાનકડા બડોલી ગામમાં નારિયેળના વેસ્ટ રેસામાંથી દરેક પ્રકારની ગૃહ સજાવટની વસ્તુઓ બનાવવાનો ગૃહઉદ્યોગ ચાલે છે. બડોલીના ઈન્દ્રસિંહ રાઠોડ નકામા છોતરાઓને રીફ્લેશ કરીને તેમાંથી સુંદર આર્ટિકલો બનાવે છે. ઈન્દ્રસિંહે આ કામ કરવા માટે આર.ટી.આઈ.ના તાલીમ વર્ગોમાંથી ખાસ પ્રકારની તાલીમ લીધી છે. ઘણી વખત વેસ્ટ વસ્તુમાંથી બનાવેલી બેસ્ટ વસ્તુ જોઈને આપણને એવું લાગે કે આ વસ્તુ ખરેખર એન્ટીક છે અને આવી જ એન્ટીક વસ્તુઓ ઇન્દ્રસિંહ નારિયેળના વેસ્ટ રેસામાંથી બનાવે છે.
આ અંગે ઈન્દ્રસિંહ કહે છે કે, હવે હું આ કામમાં એટલો માસ્ટર બની ગયો છું કે કોઈપણ વસ્તુના ફોટા ઉપરથી પણ હું તે વસ્તુને નારિયેળના રેસામાંથી બનાવી શકું છું અને માત્ર ગુજરાત જ નહિં પણ દિલ્હી સુધી હું હેન્ડીક્રાફ્ટના એક્ઝિબિશનમાં મારી વસ્તુઓને ડિસ્પ્લે કરું છું. મંદિરો અને આસપાસની જગ્યાએથી નારિયેળના વેસ્ટ છોતાઓ લાવવા માટે તથા છોતાઓમાંથી રેસાઓને અલગ કરવા માટે આ ઉદ્યોગ ગામની ૩૦ પછાત વર્ગની બહેનોને પણ રોજગારી પૂરી પાડે છે. સૌપ્રથમ આજુબાજુના ગામો તથા મંદિરોમાંથી નારિયેળના વેસ્ટ છોતાઓ ભેગા કરીને તેમાંથી રેસાઓને અલગ કરવામાં આવે છે. પછી એ રેસાઓને મશીનમાં રીફ્લેશ કરવામાં આવે છે. જેથી રેસાઓ એકદમ ક્લીન થઈ જાય છે. પછી ઈન્દ્રસિંહ પોતાની હાથ કલા-કારીગરી દ્વારા એ રેસાને ગૂંથીને દરેક પ્રકારની વસ્તુઓ બનાવે છે. જે પ્રકારની વસ્તુ હોય એ મુજબ એ વસ્તુને વેસ્ટ કાપડના ટુકડા અને જરૃરિયાત મુજબની વસ્તુઓ વાપરીને તેને શણગારવામાં આવે છે.

વોલ પીસસ, તોરણ, રમકડાં, મોર, હાથી, ટેબલ, ઝુલા, ગણપતિની મૂર્તિ, ઝુમ્મર, સંત-મહાત્માની મૂર્તિઓ જેવી દરેક પ્રકારની વસ્તુઓ ઇન્દ્રસિંહ નારિયેળના વેસ્ટ કચરામાંથી બનાવે છે.

આ ઉદ્યોગમાં ગામની પછાત વર્ગની બહેનો પણ નારિયેળના વેસ્ટ કચરામાંથી બનાવે છે. આ ઉદ્યોગમાં ગામની પછાત વર્ગની બહેનો પણ દિવસના ૩૦૦ થી ૪૦૦ રૃપિયાનું કામ કરે છે.

મહત્ત્વની વાત એ છે કે આ વસ્તુઓની ડિમાન્ડ દેશ-વિદેશમાં પણ છે. ન્યુઝિલેન્ડ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંતી પણ ઇન્દ્રસિંહને વિવિધ વસ્તુઓ બનાવવાનો ઓર્ડર મળે છે. આ અંગે ઇન્દ્રસિંહ કહે છે કે, એક્ઝિબિશનમાં આવતાં વિદેશીઓ મારી વસ્તુઓ જોઈને પોતાને ગમતી વસ્તુઓ બનાવવાનો ઓર્ડર આપે છે. હમણાં જ મને ન્યુઝિલેન્ડથી રાષ્ટ્રીય પક્ષી કિવિ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. જેનું કામ ચાલુ છે. ક્યારેક તો ઓર્ડર પૂરા કરવા માટે ઉજાગરા પણ કરવા પડે છે.

સો રૃપિયાથી લઈને દસ હજાર રૃપિયા સુધીમાં એક આર્ટિકલ તૈયાર થાય છે અને આ આર્ટિકલની કિંમત નંગ ઉપર નહીં પણ ફૂટ ઉપર નક્કી થાય છે. જેટલા ફૂટના રેસાનું કામ થયું હોય એ પ્રમાણે જેતે વસ્તુની કિંમત નક્કી થાય છે. નારિયેળના રેસામાંથી બનેલી આ વસ્તુઓને પ્રથમ નજરે જોતાં એવું લાગે કે તે લાકડાની બનાવેલી છે.

આઈ.આઈ.ટી. ખડગપુરમાંથી ક્રાયોજનિક એન્જિનિયરીંગમાં પીએચડી થનાર ભારતની પ્રથમ ગુજરાતી મહિલા

આઈ.આઈ.ટી.માં એડમીશન મેળવવું એ દરેક સ્ટુડન્ટનું ડ્રિમ હોય છે. પરંતુ બહુ ઓછા સ્ટુડન્ટ આઈ.આઈ.ટી.માં એડમીશન મેળવવામાં સફળ થાય છે ત્યારે ગુજરાતના ભાવનગરની વતની અને હાલમાં વડોદરામાં રહેતી અદિતી ઓઝાએ ભારતની ખ્યાતનામ ઇન્સ્ટિટયૂટ આઈ.આઈ.ટી. ખડગપુરમાંથી ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
 
ક્રાયોજનિક એન્જિનિયરીંગ એટલે શું ?ક્રાયોજનિક એન્જિનિયરીંગ એટલે વાતાવરણને ઠંડુ કરવાની પ્રક્રિયા ઃ કોલ્ડ સ્ટોરેજ અને રોકેટ મિસાઇલમાં વાતાવરણને માયનસ ૧૫૦ થી ૨૭૨ ડિગ્રીએ ઠંડુ કરવા માટે ઉપયોગમાં લેવાતા લિક્વીડ ગેસનું વહન કરતાં સિલિન્ડરના જોખમોથી કેવી રીતે બચી શકાય તેના પર રિસર્ચ કર્યું છે


અદિતીએ ૨૦૦૩માં વલ્લભવિદ્યાનગરની બિરલા વિશ્વકર્મા એન્જિનિયરીંગ કોલેજમાંથી મેકનીકલ એન્જિનિયર પૂર્ણ કરીને ૨૦૦૫માં અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાંથી ક્રાયોજનિક એન્જિનિયરીંગમાં માસ્ટરની ડિગ્રી મેળવીને મહેસાણાની ગણપત એન્જિનિયરીંગ કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી મેળવી. આ અંગે અદિતી કહે છે કે, ક્રાયોજનિક એન્જિનિયરીંગમાં વધારે રિસર્ચ કરવાની ઇચ્છાને કારણે મેં આઈ.આઈ.ટી. ખડગપુરમાંથી પી.એચ.ડી.ની ડિગ્રી મેળવવાનું નક્કી કર્યું. મેં આઈ.આઈ.ટી.માં એડમીશન મેળવવા માટે ખૂબજ મહેનત કરી. અને ૨૦૦૬માં તે આઈ.આઈ.ટી. ખડગપુરમાં ક્રાયોજનિક એન્જિનિયરીંગમાં 'લિક્વિડ ગેસના વહન કરતાં સાધનોમાં ઉત્પન્ન થતાં જોખમો' સબ્જેક્ટ ઉપર રિસર્ચ સ્કોલર તરીકે જોડાઈ. ક્રાયોજનિક વિષય અંતર્ગત તેમણે ફૂડ સ્ટોરેજ, હાઈ સ્ટોરેજ, રોકેટ મિસાઈલ વગેરેમાં વાતાવરણને માઈનસ ૧૫૦ ડિગ્રીથી ૨૭૨ ડિગ્રી કરવા માટે હવામાં રહેલા જુદા જુદા તત્વોને ક્રાયોજનિક ટેકનોલોજી દ્વારા લિક્વિડ ગેસમાં રૃપાંતર કરવામાં આવે ત્યારે એ તત્વોનું વહન કરતા સિલિન્ડરમાં કેવી રીતે આગ લાગે તથા તેને કેવી રીતે અવોઈડ કરી શકાય તે માટે તેમણે ચાર વર્ષ સુધી આઈ.આઈ.ટી.માં રિસર્ચ કર્યું અને જાન્યુઆરી ૨૦૧૧માં તેમણે ક્રાયોજનિક એન્જિનિયરીંગમાં આઈ.આઈ.ટી.માંથી પી.એચ.ડી. ની ડિગ્રી પ્રાપ્ત કરી.

આ ઉપરાંત અદિતીએ ૨૦૦૮માં ઓસ્ટ્રેલિયાના બ્રેસબીન ખાતે યોજાયેલી ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીની આંતરરાષ્ટ્રીય ક્રાયોજનિક કોન્ફરન્સમાં તથા છૈંૈંય્સ્છની કોણાર્કમાં યોજાયેલ એન્યુઅલ કોન્ફરન્સમાં પણ શ્રેષ્ઠ પેપર પ્રેઝન્ટેશનના એવોર્ડ મેળવેલા છે. ખાસ મહત્ત્વની વાત એ છે કે, ગુજરાતની અદિતી ઓઝા ભારતની પ્રખ્યાત ઈન્સ્ટીટયૂટ આઈ.આઈ.ટી.માંથી ક્રાયોજનિક એન્જિનિયરીંગ સબજેક્ટમાં ડોક્ટરેટની પદવી મેળવનાર સમગ્ર ભારતમાંથી પ્રથમ મહિલા છે. જે ગુજરાત અને ભાવનગર માટે ગૌરવની વાત છે. ગુજરાતની અદિતીએ સાબિત કરી દીધું કે જો મન મક્કમ હોય તો વિશ્વની કોઈપણ યુનિવર્સિટીમાં એડમીશન મેળવવું અશક્ય નથી. પરંતુ એ માટે હાર્ડવર્ક સિવાય સફળ થવાનો કોઈ શોર્ટકટ રસ્તો નથી.

ગાંઘીજીને મળવાની અઘૂરી ઇચ્છા કંઈક આ રીતે રજૂ કરું છું

ગાંધીજીની પૂણ્યતિથિ નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ હોલમાં આજથી ગાંધીજીના ફૂટ પેઇન્ટિંગ્સનું પ્રદર્શન ખુલ્લુ મૂકવામાં આવશે. આ પેઇન્ટિંગ્સ મુંબઇના ૭૩ વર્ષીય આર્ટિસ્ટ ગુલબાનું મરચન્ટ તૈયાર કર્યા છે. ગુલબાનુંએ ખાસ રંગ તથા સ્ટીલ અને તાંબાની પ્લેટ પર પેઇન્ટિંગ્સ તૈયાર કર્યા છે. ગુલબાનું વ્યવસાય અલે.એલ.બી છે. તેમની પાસે બેઝિક આર્ટ પણ નહોતી પરંતુ નાનપણના શોખને કારણે તેઓ આર્ટની તાલીમ લીધા વિના ડુડલિંગથી જોયા વગર જ ચિત્રો બનાવતા. ત્યાર પછી ફૂલોને સામે રાખીને નેચર ડ્રોઈંગ તથા કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યા. તેમની પાસે ગાંધીજીના કોઇ ખાસ પેઇન્ટિંગ્સ નહોતા, પરંતુ ૨૦૦૦ની સાલમાં વનસ્થલિ વિદ્યાપીઠની મુલાકાતને કારણે તેમને ત્યાંથી ગાંધીજીના પગ જોયા અને ફૂટ પેઇન્ટિંગ બનાવવાની પ્રેરણા મળી.
ગાંધીજીની પૂણ્યતિથિ
નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠમાં મુંબઇના વયો વૃદ્ધ આર્ટિસ્ટ ગુલબાનું મરચન્ટના 
ગાંધીજીના ફૂટ સ્ટેપ 
પેઇન્ટિંગ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે

ગાંધીજીના ફૂટ પેઇન્ટિંગ તેમણે તાંબાની પ્લેટ, સ્ટીલની પ્લેટ, ટેરા કોટા માટી, એક્રેલિક કોલાજ કલર, એક્રેલીક, ખોઇલ તથા તેમનો પોતાના બનાવેલો બ્લેક કલરમાં બનાવ્યા છે. પેઇન્ટિંગમાં રેતી છે તો કોઇમાં શંખલાનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત જુના જમાનાની ટાઇલ્સના ટુકડાનો ઉપયોગ પણ તેમે કર્યો છે. તાંબા, મેટલ અને સ્ટીલ પર બનાવેલા પેઇન્ટિંગ આકર્ષક છે. તેમાં તેમણે ઇનોમેલિંગ પાઉડરના ઉપયોગ કરીને બનાવ્યા છે.

આ પેઇન્ટિંગ્સની સાથે તેમણે કાવ્યો પણ લખ્યા છે. પેઇન્ટિંગ્સમાં ફક્ત ગાંધીજીના ફૂટ સ્ટેપ, લાકડી અને ઘડિયાળ બનાવવામાં આવી છે. જેનો અર્થ એવો થાય છે કે ગાંધીજીના જીવનના જે સ્ટેપ હતા તેમને ફોલો કરવા જોઇએ. ગુલબાનું કહે છે કે, મને ગાંધીજીને મળવાની ખૂબ ઇચ્છા પણ હું ત્યારે નાની હતી તેથી મળી ના શકી. ૧૯૮૦માં હું ગાંધીજીના હિમાલયમાં આપેલા કોસાની આશ્રમમાં ગાંધીજીના રૂમમાં રહી હતી તે મારા માટે સદ્ભાગ્યની વાત છે.

તસવીર : સુરેશ મિસ્ત્રી

સી.એ ક્લિઅર કરવાનો એક જ શોર્ટકટ છે- સખત મહેનત

સી.એની પરીક્ષામાં અમદાવાદના આઠ વિદ્યાર્થીઓ ટોપર્સ બન્યા છે ત્યારે બઘાં જ વિદ્યાર્થીઓનો સૂર એક જ હતો ‘સખત મહેનત ’આખા ભારતમાં ત્રીજા નંબરે આવેલો અમદાવાદનો લોકેશ ગાંઘી કહે છે કે, મારે ઘોરણ ૧૦માં ૮૮ ટકા અને ૧૨માં ૮૯ ટકા હતા. છતાં પણ મને સી.એની પાઇનલમાં ત્રીજા રેનન્કની આશા નહોતી. હું સિલેબસનું કવરેજ વઘારે કરતો હતો. અને પ્રેક્ટિકલ સબજેક્ટમાં સ્ટડી મટિરિયલનો વઘારે અભ્યાસ કરતો હતો. થિયરીમાં પણ ટોપિક સિલેક્ટ કરીને ઇન્ટરનેટ પરથી તેમજ રેફરન્સ બુક્સમાંથી ૬થી ૮ કલાક રિડિંગ કરતો હતો. હવે સી.એની પ્રેક્ટિસ કરવાની ઇચ્છા છે.
 અમદાવાદના આઠ વિદ્યાર્થીઓએ સી.એની પરીક્ષામાં ટોપ કરીને એ સાબિત કર્યુ છે કે બિઝનેસ હબ ગુજરાતના વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટિંગમાં હંમેશા અવ્વલ જ રહેશે.એમાં પણ હિમાંશુ અગ્રવાલના પિતાએ પાનનો ગલ્લો ચલાવીને બહુ ઘીરજ પૂર્વક સંઘર્ષ કર્યો છે
સી.એની ફાઇનલ એક્ઝામમાં ૫૮.૫ ટકા સાથે સાતમાં ક્રમે આવનાર અમદાવાદનો પ્રદિપ સોની કહે છે કે, મારે ઘો.૧૦માં ૭૦ ટકા અને ઘો.૧૨માં ૭૪ ટકા સાથે રાજસ્થાન બોર્ડમાંથી પાસ કર્યું છે. અને અમદાવાદની એલ.જે. કોલેજમાંથી બી.કોમ કર્યું છે. જ્યારે સી.એમાં મને સારા માર્કસ સાથે પાસ થવાની આશા હતી પણ રેન્કની અપેક્ષા નહોતી. ત્રણ મહિના સુઘી હું ડેઇલી આઠ કલાક રિડિંગ કરતો હતો. અને મેં ત્રીજી ટ્રાયલે સી.એની ફાઇનલ રેન્ક સાથે પાસ કરી છે. હવે આંતરપ્રિન્યોર બનવાની ઇચ્છા છે. જો ફોરેનની સારી ઓફર આવશે તો ફોરેન જઇશ, અને સી.એ પાસ થવા માટે મેં કોલેજ લાઇફ મીસ કરી એનું દુઃખ પણ છે.૪૬૧ મારક્ સાથે બારમાં ક્રમે આવનાર અમદાવાદનો નિરલ શાહ કહે છે કે, મેં પાસ થવા માટે મહેનત કરી હતી. રેગ્યુલર અભ્યાસ અને ડેઇલ ૬થી ૮ કલાક રિડિંગ કરતો હતો. હવે શોર્ટ ટર્મ માટે ઇન્ડસ્ટ્રીમાં જવું છે, અને કેમ્પસ ઇન્ટરવ્યૂની તૈયારી કરીશ. મેં સેકન્ડ ટ્રાઇમાં સી.એ પાસ કર્યું છે.

સી.એ. પાસ કરનાર હિમાંશું અગ્રવાલ કહે છે કે, સી.એ. કરવું ખૂબ જ ટફ છે. માટે ઘો. ૧૦માં ૭૮ અને ઘો.૧૨માં ૮૭ ટકા હતા. અને નવા કોર્સમાં પ્રથમ ટ્રાઇમાં રેન્કમાં સી.એ પાસ થવાનો મને ખૂબ આનંદ છે. મારા પપ્પાએ પાનનો ગલ્લો ચલાવીને મારા માટે ખર્ચો કર્યો છે. હવે હું જોબ મેળવવાની તૈયારી કરીશ.

Saturday, May 7, 2011

ક્રિકેટક્રેઝી અમદાવાદીઓનો વર્લ્ડકપ ફિવર


ક્રિકેટ મહાકુંભનો આજથી પ્રારંભ થઈ રહ્યો છેે ત્યારે અત્ર-તત્ર-સર્વત્ર સૌના હૈયે અને હોઠે ક્રિકેટ વર્લ્ડકપનો ક્રેઝ જોવા મળે છે. અને ક્રિકેટક્રેઝી અમદાવાદીઓમાં પણ વર્લ્ડકપ ફિવર જોવા મળી રહ્યો છે.
પ્રેમરૂપી ક્રિકેટના મેદાન પર નેટ પ્રેક્ટિસ સમય, બજરંગ ક્રિકેટ કલબના વનડાઉન્ડ પ્લેપર હિતેન ફ/જી ઘમંડે ઈલેવનની બોલર દિપાલીના ગુગલી બોલ પર બેટના બહારની કિનારીએ ટચ કરતા પોતાના દિલનો કેચ આપી દેતા, કોટ બિહાઈન્ડ જાહેર કરવામાં આવ્યો છે. અને હવે નવા સંસારની લાંબી ઇનિંગ્સ રમવા શનિવારના રોજ થશે પણ ચિયર્સઅપ કરવા સ્ટેડીયમ સરખા નિવાસ સ્થાને હાજર રહેશો એવી આશા છે. આ શબ્દો કોઈ ક્રિકેટ મેચના નથી પણ લગ્નની કંકોત્રીના શબ્દો છે. અમદાવાદના હિતેન બજરંગે પોતાની લગ્ન કંકોત્રી કંઈક અલગ જ અંદાજમાં છપાવી છે. આ અંગે હિતેન કહે છે કે, વર્લ્ડકપના પ્રથમ દિવસે જ મારા લગ્ન હોવાથી મેં મારી કંકોત્રી ક્રિકેટ મેચની કોમેન્ટ્રીની જેમ બનાવી છે.
 અમદાવાદના ક્રિકેટપ્રમી હિતેન બજરંગે પોતાના લગ્ન આજે વર્લ્ડકપના દિવસે હોવાથી તેણે પોતાના લગ્નની કંકોત્રી ક્રિકેટ મેચની કોમેન્ટ્રીના અંદાજમાં છપાવી છે. તો ૫૧ વર્ષના રજનીકાંત ચૌહાણે પોતાના સચિન‘પ્રેમ’ને ૮૮૦ ફોટાઓ અને ૪૧૯ પેપરો પર લખીને વ્યક્ત કર્યો
આ કંકોત્રીમાં ગણેશ સ્થાપનાની જગ્યાએટોસ, રાસ-ગરબાની જગ્યાએ ચિયર્સ લીડર્સ, હસ્ત મેળાપની જગ્યાએ બેટીંગ, ભોજન સમાંરભની જગ્યાએ લન્ચ બ્રેક, નિવાસ સ્થાનની જગ્યાએ સ્ટેડિયમ, શુભ-વિવાહની જગ્યાએ ઈન્ડિયા ફ/જી બાંગ્લાદેશ, લગ્નની જગ્યાએ મેચ અને સ્નેહીની જગ્યાએ ઓડિયન્સ એવી રીતે સંપૂર્ણ કંકોત્રી ક્રિકેટ વર્લ્ડકપની ભાષામાં લખવામાં આવી છે. હિતેન પોતે ક્રિકેટર અને ક્રિકેટપ્રેમી તથા યુવરાજનો ફેન છે. તેથી તેમણે આવી રીતે કંકોત્રી છપાવી સૌને આશ્ચર્યમાં મૂકી દીધાં છે.

અહીં આપણને લગ્નની કંકોત્રીમાં વર્લ્ડકપ ફીવર જોવા મળ્યો. હવે રજનીકાંત ચૌહાણના સચિન ફીવરની વાત કરીએ, અમદાવાદના અંધજન મંડળમાં છેલ્લા ૨૬ વર્ષથી છાત્રાલયમાં ગૃહપતિ તરીકે ફરજ બજાવતા ૫૧ વર્ષના રજનીકાંત ચૌહાણ વર્ષોથી સચિનની રમત અને વિચારોના પરમ ફેન છે. તેમનો સચિન પ્રેમ માત્ર ગામગપાટા પુરતો મર્યાદિત નથી પણ ઊંડા અભ્યાસનો વિષય બન્યો છે. સચિન આ વર્લ્ડકપ જીતે અને તેને ભારત રત્ન મળે તેવી શુભેચ્છા આપવા માટે રજનીકાંતભાઈએ વર્તમાનપત્રો અને સામયિકોમાં સચિન વિશે છપાતી માહિતીના કટીંગ્સ અને તસ્વીરોનો રસપ્રદ ઈતિહાસનું કલેકશન કરીને તેનું પ્રદર્શન યોજાયું છે. તેઓ છેલ્લા પંદર વર્ષથી સચિનની સફળતા અને જીવન જીવવાના વિચારોના ફેન છે. તેમણે સચિન તેંડુલકરના જન્મના ઈતિહાસથી માંડીને સચિનની ક્રિકેટર તરીકેની જીવનયાત્રાનું દર્શન કરાવતી તસ્વીરો અને માહિતીનું અનોખું કલેકશન કર્યું છે.
તેમણે ૪૧૯ પેપર પર સચિનના વન-ડે, ટેસ્ટ, આઈ.પી.એલ. અને વર્લ્ડકપના રેકોર્ડ તારીખ, વાર, રન, બોલ, સદી જેવી નાનામાં નાની બાબતનો પોતાના કલેકશનમાં સમાવેશ કર્યો છે.

આ ઉપરાંત સચિનની બેટિંગ અદા, પરિવાર સાથેના ફોટો, સામાજિક ફોટો, સેલિબ્રિટી સાથેનો ફોટો તથા સચિનના બાળપણના ૮૮૦ લખાણ સાથેના ફોટાઓ કલેકટ કર્યા છે. આ અંગે રજનીભાઈ કહે છે કે આ ઐતિહાસિક ખજાનો મેં ફુરસતના સમયે ભેગો કર્યો છે અને તેઓ અંધ વિદ્યાર્થીઓને પણ ફુરસદના સમયે સચિન વિશેની રેકોર્ડ માહિતી સંભળાવે છે એ રીતે અનેક અંધ વિદ્યાર્થીઓને પણ તેમણે ક્રિકેટનું ઘેલું લગાડ્યું છે. તેઓ કહે છે કે મેં આ પ્રવૃત્તિ દ્વારા માનસિક બેલેન્સ જાળવવાનો પ્રયત્ન કર્યો છે. સચિન વિશેની નાનામાં નાની વાતનું કલેકશન તેમની પાસે છે. છતાં પણ તેઓ હજી સુધી સચિનને મળ્યા નથી. પરંતુ હવે તેમને મળવાની તમન્ના જાગી છે.

Thursday, March 17, 2011

જાન દેંગે, જમીન નહીં

 
મહુવા સત્યાગ્રહ - એક નજર, ડોળિયાથી ગાંધીનગર ૩૫૦ કિલોમીટરની પેસેન્જર યાત્રા. 

૩ માર્ચ ડોળિયાથી પ્રસ્થાન. અનેક મુશ્કેલીઓ વચ્ચે ૧૭ માર્ચે ગાંધીનગર સચિવાલયે પહોંચ્યા.

મહુવા તાલુકાના ૧૩૫થી વધુ ગામોના ૫૦૦૦થી વધારે ખેડૂત ભાઈ-બહેનો જોડાયા

જેમાં અસરગ્રસ્ત નવ ગામોના લોકો ઘરે તાળા મારીને બાળકો-વૃધ્ધો સહીત રસ્તા પર નીકળી પડ્યા.

 બે વર્ષથી ચાલી રહેલા અહિંસક આંદોલનના મળવા જેવા મહિલા ક્રાંતિકારી કડવીબેન 

બોર્ડની પરીક્ષા તો આવતા વર્ષે આવશે પણ ગયેલી જમીન નહીં આવે.
 
મોદીથી થાકેલો મોતી, મહુવા સત્યાગ્રહમાં ખેડૂતોની સાથે જોડાયેલો દેશી કૂતરો મોતિયો

એભાઈ......અમારું પણ કંઈક કરજો હો.......

 આહા!!! કેટલી નિર્દોષતા વચ્ચે પણ આક્રોશ 
સમાયેલો દેખાય છે.

સો વાતનીએક જ વાત, જાન દેંગે, જમીન નહીં

મહુવા પદયાત્રામાં પરંપરાગત પહેરવેશથી સજ્જ રાજસ્થાની યુવતીઓને કેમેરામાં કેદ કરતા ફોરેનર.
 
એ હાલો ગાંધીનગર

 જમીન તો રહી નથી, 
હવે સુ કામનું જેસીબી!!!

ઐસા દેશ હે મેરા...........
ઇસમે ગુજરાત હે કહાઁ........
...

હાથમાં લાકડી.....પછી આગળ સમજી શકાય છે.
એ ઉભા રે'જો ........જરાક બેટરી ભરી લઉં.......

હા'તી અમેય નિહાઈરમાં રાજા પાળીને આઇવા હો.....

આયા મોસમ ઠંડે ઠંડે તરબૂચ ખાને કા.....
અને છેલ્લે

ગામની જમીન ગામની, સરકારની નહીં.જાન દેંગે, જમીન નહીં
તો મિત્રો આ જલક હતી સરકાર અને ઉદ્યોગ સામે લડી રહેલા મહુવા તાલુકાના ખેડૂત ભાઈ-બહેનોની. મહુવા તાલુકાના નવ ગામોની જમીન સરકારે જમીનમાં રહેલા ચૂનાના પત્થર ખોદવા માટે નીરમાં સિમેન્ટ કંપનીને ખેડૂતોને પૂછ્યા વિના જ આપી દીધી. તેની સામે ત્યાના ખેડૂતો છેલ્લા બે વર્ષથી ગાંધી ચિંધ્યા માર્ગે જળ, જમીન અને જંગલ બચાવો સત્યાગ્રહ ચલાવી રહ્યા છે. અને આ સત્યાગ્રહ ગુજરાતના ખેડૂતોને હંમેશા પોતાના અધિકારો માટે લડવાની હિંમત પૂરી પડશે.
એક નજર આ તરફ પણ....





 મોદીએ આપેલા જવાબો પરથી તમને નથી લાગતું કે મોદીને જ હટાવવાની જરૂર છે એવું.......
અહેવાલ સંકલન દિપેન પઢિયાર