Saturday, July 23, 2011

ગાંધીજીના મુખ્ય મથક અમદાવાદમાં ખાદી બનતી નથી

આશ્ચર્યની વાત એ છે કે ગાંધીજીની કર્મભૂમિ અમદાવાદમાં ક્યાંય ખાદીનું કાપડ બનતું નથી. ૧૯૮૦ સુધી માત્ર ગાંધી આશ્રમમાં જ ખાદી વણાટનું કામ ચાલતું હતું, પરંતુ ૧૯૮૦ પછી કારીગરોના અભાવને કારણે ખાદી વણવાનું બંધ થઇ ગયંં. અમદાવાદમાં ૪૦થી ૪૫ ખાદી ભંડારો છે, પરંતુ આ ખાદી ભંડારોમાં અમદાવાદની આસપાસના ગામડાઓ અને સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, ભાવનગર, સિંહોર, ગૌડલ, રાજકોટ, ગઢડા, ઢસા વગેરે જગ્યાએથી ખાદીનું કાપડ બનીને આવે છે. અને જે પાતળી ખાદી આવે છે તે પરપ્રાંતમાંથી આવે છે. આ અંગે ગાંધી આશ્રમમાં ઇમામ મંઝિલમાં રહેતા ૪૨ વર્ષના ધીમંતભાઇ બઢિયા કહે છે કે, મારા દાદા અને પર દાદા ગાંધી આશ્રમમાં ખાદી વણાટનું કામ કરતા હતા. હું પોતે એક મિલ કામદરા છું અને હવે આશ્રમની ભૂમિ પર કોઇ ખાદી વણાટનું કામ કરનાર રહ્યું નથી. પરંતુ આશ્રમની મુલાકાતે આપતા ટુરિસ્ટોને ખાદી કેવી રીતે બને અને કોટનમાંથી વસ્ત્ર કેવી રીતે તૈયાર થાય એ જાણકારી મળી રહે તે માટે મેં બે વર્ષથી ખાદી વણાટનું સેન્ટર ચાલુ કર્યું છે. પરંતુ ખાદીનું ઉત્પાદન નથી થતું.
ગાંધીજીની કર્મભૂમિ અમદાવાદમાં ક્યાંય ખાદીનું કાપડ બનતું નથી. અમદાવાદમાં આવેલા ૪૦થી ૪૫ જેટલા ખાદી ભંડારોમાં આસપાસના ગામડાઓ, સૌરાષ્ટ્ર તથા પરપ્રાંતમાંથી ખાદીનું કાપડ આયાત કરવામાં આવે છે

ખાદીનું કાપડ બનાવવા માટે સુતરની આંટીઓની ચાર- પાંચ દિવસ સુધી પ્રોસેસ કરવી પડે છે. અને ત્યાર પછી ખાદીનું કાપડ બને છે. આ અંગે ગાંધી આશ્રમમાં રહેતા ૭૧ વર્ષીય સાન્તાબેન બઢિયા કહે છે કે, શરૃઆતમાં આશ્રમમાં વણાટ શાળા હતી. જેમાં ખાદી વણાટકામ શીખવા માટે સમગ્ર દેશમાંથી લોકો આવતા હતા. સમય જતાં બધું જ બંધ થઇ ગયું અને આજે તો અમદાવાદમાં ગાંધીજીના આશ્રમમાં પણ કાદીનું કાપડ નથી બનતું. જ્યાં સુધી જુની પેઢીના લોકો હતા ત્યાં સુધી તેઓએ પોતાનો ખાદી વણાટનો વ્યવસાય પકડી રાખ્યો હતો, પરંતુ ઓછા વળતરને કારણે નવી પેઢી પોતાના ખાદીના વ્યવસાયને છોડીને અન્ય વ્યવસાયમાં લાગી ગઇ છે. આ અંગે આશ્રમમાં રહેતા નરશીભાઇ બઢિયા કહે છે કે, અમદાવાદમાં હવે કોઇને ખાદી વણાટનું કામ આવડતું નથી. ખાદીનું કાપડ બનાવવા માટે ગામડામાંથી કારીગરોને લાવવા પડે છે, પરંતી ખાદીમાં રોજી- રોટી ઓછી મળતી હોવાથી ખૂબ જ ઓછા લોકો હવે ખાદી વણાટનું કામ કરે છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment