Wednesday, May 18, 2011

નારિયેળના વેસ્ટ રેસામાંથી બનતા એન્ટીક આર્ટિકલો













હિંમતનગર જિલ્લાના ઈડરની બાજુમાં આવેલા બડોલી ગામના ઇન્દ્રસિંહ રાઠોડ છેલ્લા દસ વર્ષથી નારિયેળના વેસ્ટ રેસામાંથી બેસ્ટ આર્ટિકલ બનાવે છે અને ન્યુઝિલેન્ડ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશો સુધી આ વસ્તુઓની ડિમાન્ડ છે

હિંમતનગર જિલ્લાના ઈડરની બાજુમાં આવેલા નાનકડા બડોલી ગામમાં નારિયેળના વેસ્ટ રેસામાંથી દરેક પ્રકારની ગૃહ સજાવટની વસ્તુઓ બનાવવાનો ગૃહઉદ્યોગ ચાલે છે. બડોલીના ઈન્દ્રસિંહ રાઠોડ નકામા છોતરાઓને રીફ્લેશ કરીને તેમાંથી સુંદર આર્ટિકલો બનાવે છે. ઈન્દ્રસિંહે આ કામ કરવા માટે આર.ટી.આઈ.ના તાલીમ વર્ગોમાંથી ખાસ પ્રકારની તાલીમ લીધી છે. ઘણી વખત વેસ્ટ વસ્તુમાંથી બનાવેલી બેસ્ટ વસ્તુ જોઈને આપણને એવું લાગે કે આ વસ્તુ ખરેખર એન્ટીક છે અને આવી જ એન્ટીક વસ્તુઓ ઇન્દ્રસિંહ નારિયેળના વેસ્ટ રેસામાંથી બનાવે છે.
આ અંગે ઈન્દ્રસિંહ કહે છે કે, હવે હું આ કામમાં એટલો માસ્ટર બની ગયો છું કે કોઈપણ વસ્તુના ફોટા ઉપરથી પણ હું તે વસ્તુને નારિયેળના રેસામાંથી બનાવી શકું છું અને માત્ર ગુજરાત જ નહિં પણ દિલ્હી સુધી હું હેન્ડીક્રાફ્ટના એક્ઝિબિશનમાં મારી વસ્તુઓને ડિસ્પ્લે કરું છું. મંદિરો અને આસપાસની જગ્યાએથી નારિયેળના વેસ્ટ છોતાઓ લાવવા માટે તથા છોતાઓમાંથી રેસાઓને અલગ કરવા માટે આ ઉદ્યોગ ગામની ૩૦ પછાત વર્ગની બહેનોને પણ રોજગારી પૂરી પાડે છે. સૌપ્રથમ આજુબાજુના ગામો તથા મંદિરોમાંથી નારિયેળના વેસ્ટ છોતાઓ ભેગા કરીને તેમાંથી રેસાઓને અલગ કરવામાં આવે છે. પછી એ રેસાઓને મશીનમાં રીફ્લેશ કરવામાં આવે છે. જેથી રેસાઓ એકદમ ક્લીન થઈ જાય છે. પછી ઈન્દ્રસિંહ પોતાની હાથ કલા-કારીગરી દ્વારા એ રેસાને ગૂંથીને દરેક પ્રકારની વસ્તુઓ બનાવે છે. જે પ્રકારની વસ્તુ હોય એ મુજબ એ વસ્તુને વેસ્ટ કાપડના ટુકડા અને જરૃરિયાત મુજબની વસ્તુઓ વાપરીને તેને શણગારવામાં આવે છે.

વોલ પીસસ, તોરણ, રમકડાં, મોર, હાથી, ટેબલ, ઝુલા, ગણપતિની મૂર્તિ, ઝુમ્મર, સંત-મહાત્માની મૂર્તિઓ જેવી દરેક પ્રકારની વસ્તુઓ ઇન્દ્રસિંહ નારિયેળના વેસ્ટ કચરામાંથી બનાવે છે.

આ ઉદ્યોગમાં ગામની પછાત વર્ગની બહેનો પણ નારિયેળના વેસ્ટ કચરામાંથી બનાવે છે. આ ઉદ્યોગમાં ગામની પછાત વર્ગની બહેનો પણ દિવસના ૩૦૦ થી ૪૦૦ રૃપિયાનું કામ કરે છે.

મહત્ત્વની વાત એ છે કે આ વસ્તુઓની ડિમાન્ડ દેશ-વિદેશમાં પણ છે. ન્યુઝિલેન્ડ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંતી પણ ઇન્દ્રસિંહને વિવિધ વસ્તુઓ બનાવવાનો ઓર્ડર મળે છે. આ અંગે ઇન્દ્રસિંહ કહે છે કે, એક્ઝિબિશનમાં આવતાં વિદેશીઓ મારી વસ્તુઓ જોઈને પોતાને ગમતી વસ્તુઓ બનાવવાનો ઓર્ડર આપે છે. હમણાં જ મને ન્યુઝિલેન્ડથી રાષ્ટ્રીય પક્ષી કિવિ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. જેનું કામ ચાલુ છે. ક્યારેક તો ઓર્ડર પૂરા કરવા માટે ઉજાગરા પણ કરવા પડે છે.

સો રૃપિયાથી લઈને દસ હજાર રૃપિયા સુધીમાં એક આર્ટિકલ તૈયાર થાય છે અને આ આર્ટિકલની કિંમત નંગ ઉપર નહીં પણ ફૂટ ઉપર નક્કી થાય છે. જેટલા ફૂટના રેસાનું કામ થયું હોય એ પ્રમાણે જેતે વસ્તુની કિંમત નક્કી થાય છે. નારિયેળના રેસામાંથી બનેલી આ વસ્તુઓને પ્રથમ નજરે જોતાં એવું લાગે કે તે લાકડાની બનાવેલી છે.

No comments:

Post a Comment