Saturday, July 23, 2011

દારુણ ગરીબીમાં પણ મસ્ત રહેતા સીદીઓ 'બાદશાહ' કહેવાયા

 સાસણ ગીર એટલે એશિયાટિક સિંહની ત્રાડોથી ગુંજતો એક વિસ્તાર. અહીં જંગલમાં સતત ફરતા ફરતા તમને ડાલામથ્થા સાવજોની સતત પ્રતિતિ થયા કરે. સિંહ સિવાય પણ સાસણ અને તાલાળા ગીરમાં એક બીજી વિશેષતા છે અને એ છે અહીંના સીદી બાદશાહ. આફ્રિકન જેવી લાગતી આ અનોખી આદિ જાતિનો ખડતલ પુરુષ છ ે આજે પણ ગીરના જંગલોમાં ખુલ્લા પગે આગ ઝરતી આંખો વાળા સિંહ સામે ગભરાયા વગર ઉભા રહી જાય છે. ગીરના માલધારીઓની જેમ અહીંના સીદીઓની પણ આગવી સંસ્કૃતિ છે. આ વિસ્તારના મોટાભાગના સીદીઓ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગરીબીમાં જીવતા હોવા છતાં તેમના માં રહેલા સંતોષને કારણે સૌરાષ્ટ્રમાં તેમને સીદી-બાદશાહ કહેવામાં આવે છે.

જૂનાગઢ જિલ્લાના જાંબુર અને શિરવાણ ગામના સીદીઓ છૂટક મજૂરી કરીને જીવન નિર્વાહ ચલાવે છે. અનેક મુશ્કેલીઓમાં પણ સંતોષી અને મસ્ત જીવન જીવવાનો ગુણ દરેક સીદીમાં સ્વાભાવિક પણે જોવા મળે છે

સીદીઓનું ધમાલ નૃત્ય તો આજે ગુજરાતના દરેક પ્રદેશમાં જાણીતું બની ગયું છે. હવે તો હાઈપ્રોફાઈલ ફેમીલીના લગ્નોમાં પણ સિદી ધમાલ નૃત્યનું આયોજન કરવામાં આવે છે.
 ૫૦૦ વર્ષ પૂર્વે આફ્રિકાથી ગુલામ તરીકે ભારતમાં આવેલા સીદીઓને આપણા નવાબો તથા સુબાઓએ તેમને ખરીદ્યા હતા. ખડતલ પ્રજા હોવાથી તેમણે સીદીઓને સિંહના શિકાર અને લશ્કરમાં રોક્યા. સીદી બાદશાહનું ધમાલ નૃત્ય વિશ્વ વિખ્યાત બન્યું છે. સીદીઓ જ્યારે શિકાર કરવા જતા ત્યારે આ નૃત્ય કરતાં અને શિકાર મળી જાય એટલે આનંદમાં આવીને જે નૃત્ય કરતા તે આદિમ સંસ્કૃતિની ઝાંખી આજે પણ જોવા મળે છે.

આખા ગુજરાતમાં કુલ ૧૫ હજાર જેટલા સીદીઓની વસ્તી છ,જ્યારે આખા ભારતમાં ૨૫૦૦૦ સીદીઓ છે..જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જોવા મળે છે. જૂના ગઢ જિલ્લાનું તાલાળા, જાંબુર, શિરવાણમાં તેમની વસ્તી સૌથી વધુ છે.ભારતમાં ગુજરાત,ગોવા,કેરળ અને કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સીદીઓની વસ્તી જોવા મલે છે. લોકવાયિકા પ્રમાણે ગુજરાતમાં સીદીઓ સૌપ્રથમ ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે આવ્યા હતા. સીદીઓના સૂફી સંત બાબા ગોરની દરગાહ આજે પણ ઝઘડીયા ના રતનપુરમાં છે. સીદીઓ ઈસ્લામને અનુસરે છે. અમદાવાદમાં પણ પથ્થરકુવા અને ખાનપુરમાં સીદીઓની વસ્તી છે.આ અંગે જાણીતા લોક ઈતિહાસકાર જોરાવરસિંહ જાદવ કહે છે, ' ગુજરાતના સીદીઓ તેમની આગવી કલાથી આખા વિશ્વમાં પ્રસિધ્ધ છે. ભરુચના સિદી ગોમાનું ધમાલ નૃત્ય વિશ્વના અનેક દેશોમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે આ કલાને ગુજરાતની આગવી કલા તરીકે ખ્યાતિ મળી હતી.લોકકલા ફાઉન્ડેશન દ્વારા ભરુચના સીદી કલાકાર શબ્બીરભાઈ સીદીને તેમના કલા ક્ષેત્રે આગવા પ્રદાન બદલ ગુજરાત લોકકલા ગૌરવ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.
તસ્વીર :  સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment