Friday, February 11, 2011

નિયમિત પ્રાણીસેવાનું અતૂટ નેટવર્ક

 દરરોજ સવારે અગિયાર વાગે એટલે અમદાવાદની પાસે આવેલા શીલજ ગામની પંચાયતની સામે ચાલતા રોટલા કેન્દ્ર પર નિવૃત્ત જીવન જીવતા ભીખાભાઇ પટેલ અને શીલ જ ગામની નિવૃત્ત બહેનો પહોંચી જાય છે. અગિયારથી એક વાગ્યા સુધી તેઓ દરરોજ ૨૦ કિલો લોટની રોટલી કૂતરાઓને ખવડાવવા માટે બનાવે છે. છેલ્લા નવ વર્ષથી ભીખાભાઇ કૂતરાઓ માટે રોટલા કેન્દ્ર ચલાવે છે. આ કામમાં દશરથભાઇ ઠાકોર તથા ગામના અન્ય લોકોનો પણ પૂરતો સાથ- સહકાર આપવામાં આવે છે.
અમદાવાદની પાસે આવેલા શીલજ ગામમાં ચાલતા રોટલા કેન્દ્ર દ્વારા છેલ્લા નવ વર્ષથી દરરોજ ૨૦૦થી વધારે કૂતરાઓને રોટલા પહોંચાડવામાં આવે છે. જ્યારે મહેસાણા ના સાંઈ મંદિર અને વિજાપુર પાસે આવેલા લાડોલ ગામના સિનિયર સિટિઝનોએ આજુબાજુના ગામના કૂતરાઓને રોટલા પહોંચાડવા માટે સુંદર નેટવર્ક ઉભું કર્યું છે



આ અંગે ભીખાભાઇ કહે છે કે, છેલ્લા નવ વર્ષથી કૂતરાઓ માટે એક પણ દિવસ રોટલા ના બનાવ્યા હોય એવું નથી બન્યું. દરરોજ શીલજ ગામ અને આજુબાજુના વિસ્તારના ૨૦૦થી વધારે કૂતરાઓને રોટલા ખવડાવવામાં આવે છે. આ રોટલા કેન્દ્ર પર દરરોજ રોટલા બનાવવા માટે આવતાં વિજુબેન પટેલ કહે છે કે, નવરા બેસી રહેવાને બદલે અમે જીવદયાનું આ સેવા કાર્ય કરવાનું નક્કી કર્યું છે. આ કેન્દ્રની શરૃઆત ૫૦૦ ગ્રામ લોટથી કરી હતી અને આજે ડેઇલી ૨૦ કિલો લોટના રોટલા બને છે. અને દર વર્ષે તેમાં વધારો થતો જાય છે. કોઇ પણ તહેવાર હોય ત્યારે રોટલાને બદલે કૂતરાઓ માટે લાડું બનાવવામાં આવે છે.

રોટલા બની જાય એટલે રમણભાઇ અને બિપીનભાઇ થેલીમાં રોટલા લઇને કૂતરાઓને આપવા માટે નીકળી જાય છે. આ અંગે રમણભાઇ કહે છે કે, હવે તો કૂતરાઓનો પણ ટાઇમ બંધાઇ ગયો છે. ક્યારેક મોડું થઇ જાય તો કૂતરાઓ અમારી રાહ જોતાં હોય છે. આ રોટલા કેન્દ્રને ગામના લોકો દરેક પ્રકારનો સાથ- સહકાર આપે છે. જો ગામમાં કોઇના ઘરે સારો પ્રસંગ હોય તો તેઓ મહેમાનની રસોઇની સાથે ભીખાભાઇને પણ કૂતરાઓ માટે લાડું બનાવવાનો ઓર્ડર આપી દે છે. કંઇ આવું જ કાર્ય મહેસાણા જિલ્લાના વિજાપુર પાસે આવેલા લાડોલ ગામના સિનિયર સિટિઝન દ્વારા પણ થઇ રહ્યું છે. છેલ્લા ૨૫ વર્ષથી લાડોલ ગામના રણછોડજી મંદિરમાં જીવદયા પશુ- પક્ષી માનવ સેવાનું કાર્ય ચાલે છે. અને ગામના ૩૦થી વધારે સિનિયર સિટિઝનો દ્વારા આ કાર્ય કરવામાં આવે છે. દરરોજ સવારે દશ વાગે એટલે પશાભાઇ, મંજીબેન, સિતારામભાઇ વગેરે મંદિરમાં એકઠા થઇ જાય છે. અને ડેઇલી ૬૦ કિલો લોટની ભાખરીઓ કૂતરાઓ માટે બનાવવામાં આવે છે. દરરોજ લાડોલ અને આજુબાજુના ચાર- પાંચ નાનકડા ગામમાં તથા વાડી વિસ્તારના ૬૦૦થી વધારે કૂતરાઓને આ સેવાનો લાભ મળે છે. આ અંગે પશાભાઇ પટેલ કહે છે કે, આ કામ અમે મંદિરે આવતા ભાવિકો તથા સેવાના દાનમાંથી કરીએ છીએ.

મહત્ત્વની વાત એ છે કે લાડોલ ગામના આ મંદિર નેટવર્ક દ્વારા વાડી વિસ્તાર સુધી રોટલા પહોંચાડવામાં આવે છે. આ અંગે સિતારામભાઇ પટેલ કહે છે કે, મંદિરે દર્શનાર્થે આવતા લોકો પોતાના વિસ્તારના કૂતરાઓ માટે રોટલાઓ લઇ જાય છે. તેથી અમારે આપવા માટે જવું પડતું નથી. દરરોજ ૭૦થી વધારે લોકો મંદિરે આવીને કૂતરાઓ માટે રોટલા લઇ જાય છે. તો વળી મહેસાણા શહેરની બહાર આવેલા સાંઈ મંદિર ખાતે આખો દિવસ ૨૦૦૦ કૂતરા, હજ્જારો પક્ષીઓ અને ૩૦૦ જેટલા વાંદરાઓ માટે ખાસ પ્રકારનું ભોજન બનાવીને રિક્ષા દ્વારા ગામડે ગામડે જઈને પ્રાણીઓને ખવરાવવામાં આવે છે. આ અંગે મહેસાણા સાંઈ મંદિરના ગૌતમભાઈ પટેલ કહે છે, આ મંદિરમાં પ્રાણીપ્રેમને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. અહીં ઈશ્વરની ભક્તિને પ્રાણીઓની સેવાના સ્વરૃપમાં જ કરવામાં આવી રહી છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment