Friday, February 11, 2011

પ્રકૃતિની પાઠશાલામાં શિક્ષક- વિદ્યાર્થી ક્લાસમેટ

 આમ તો શિક્ષક શિખવે અને વિદ્યાર્થી શિખે એ વાત સામાન્ય છે. પરંતુ ઈન્દ્રોડાના પ્રકૃતિ શિક્ષણની શિબિરમાં તો શિક્ષક અને વિદ્યાર્થી સહાઘ્યાયી બનીને એક સાથે પ્રકૃતિના પાઠ શીખે છે.આમાં કોઈ અહમ્ની વાત નથી પરંતુ ઈન્દ્રોડાથી થોડે દૂર નવી કેમ્પ સાઈટમાં પ્રકૃતિના અદ્દભુત નજારા વચ્ચે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ એક સાથે બેસીને પ્રકૃતિનું સાચુ મહત્ત્વ સમજી રહ્યા છે. છેલ્લા એક અઠવાડીયાથી અહીંં પ્રકૃતિ શિક્ષણ શિબિરનો દૌર ચાલી રહ્યો છે ત્યારે ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સાથે બેસીને રસ પૂર્વક પ્રકૃતિના પાઠ ભણી રહ્યા છે.

 ઇન્દ્રોડા નેચર પાર્ક દ્વારા ધોરણ આઠથી બારના ૨૫૦૦ વિદ્યાર્થીઓને નેચર અને વાઇલ્ડ લાઇફ પ્રત્યે અવેર કરવા માટે નેચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

આ અંગે ઈન્દ્રોડા નેચર પાર્કના એન્વાયરમેન્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર એન. કે. નંદા કહે છે કે, છોકરાઓ આઠ ધોરણ સુધી વિજ્ઞાન અને પર્યાવરણ ભણે છે. તેઓ જાણે છે કે આપણે નેચરને કેટલું નુકસાન કરીએ છીએ. પરંતુ પર્યાવરણ વિશે છોકરાઓને જ જાગૃત કરીને તેમને જ પર્યાવરણના એમ્બેસેડર બનાવવા માટે આ નેચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નેચર અને વાઈલ્ડ લાઈફને લગતા દરેક મુદ્દાની વિદ્યાર્થીઓને ઊંડાણ પૂર્વક સમજાવવામાં આવે છે. આ કેમ્પમાં પાર્ટિસિપેટ કર્યા પછી વિદ્યાર્થીઓ નેચર અને વાઈલ્ડ લાઈફ પ્રત્યે સો ટકા અવેર થઈ જાય છે. આ કેમ્પમાં પાર્ટિસિપેટ કરનાર કલોલની શાંતિનીકેતન સ્કુલનો સ્ટુડન્ટ હાર્દિક પ્રભાકર કહે છે કે, આપણી નાની નાની ભુલને કારણે પણ પર્યાવરણને નુકશાન થતું હોય છે. અને આ અંગે જો આપણે જ ઉદાસીન રહેશું તો તેનું પરીણામ ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડશે.
આ કેમ્પમાં દિવસ દરમ્યાન ઈન્દ્રોડા પાર્કમાં વિદ્યાર્થીઓને પક્ષીદર્શન, વનસ્પતિ દર્શન જેવી પ્રવૃતિઓ દ્રારા પ્રકૃતિના જ્ઞાનની સાથે જીવનમાં નેચરનું કેટલું મહત્વ છે તે અંગેનું શિક્ષણ પણ આપવામાં આવે છે. અંગે સ્ટુડન્ટ કર્મ પટેલ કહે છે કે, આપણે નેચર પાસેથી જેટલું લઈએ છીએ એટલું એને આપતાં પણ શિખવું જોઈએ. જો જંગલો નષ્ટ થઈ જશે તો એક દિવસ એવો આવશે કે આપણે શ્વાસ લેવા માટે પાછળ ઓક્સિજનનો બાટલો લઈને ફરવું પડશે. આ ઉપરાંત પર્યાવરણને લગતું કેટલુક જ્ઞાન શૈક્ષણિક રમતો દ્રારા આપવામાં આવે છે. કેમ કે બાળકો ગમ્મત સાથે જ્ઞાનને ઝડપથી એક્સેપ્ટ કરે છે. કેમ્પમાં વદ્યાર્થીઓને રાત્રીના સમય દરમ્યાન પ્રકૃતિ અને વાઈલ્ડ લાઈફને લગતી ફિલ્મો દર્શાવવામાં આવે છે. ઉપરાંત બાળકો પોતે જ પોતાની સમજ પ્રમાણે નાટકો તૈયાર કરીને રજૂ કરે છે. આ અંગે સ્ટુડન્ટ અમરજીત મોડીયા કહે છે કે, કેમ્પમાં અમે પ્રકૃતિક શિક્ષણ મેળવવાની સાથે પ્રકૃતિની વચ્ચે રહીને એન્જોયમેન્ટ પણ કરીએ છીએ. આ અંગે ઇન્સ્ટ્રક્ચર આલાપ પંડિત કહે છે કે, અત્યાર સુધીમાં ૮૦૦થી વધારે વિદ્યાર્થીઓએ આ કેમ્પમાં પાર્ટીસિપેશન કર્યું છે. અને વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકો પણ પાર્ટિશિપેટ થઇને નેચર એજ્યુકેશન મેળવે છે.

No comments:

Post a Comment