
જિલાની પીરની જગ્યા પર લોકો અનોખી રીતે પોતાની મન્નત માને છે. સામાન્યરીતે લોકો કોઈ જાદુઈ પટારાનું તાળું ખોલીને કિસ્મત ચમકાવતા હોય છે. પરંતુ અહીં લોકો તાળું ખોલીને નહીં પણ તાળું મારીને કિસ્મત ચમકાવવાનો પ્રયત્ન કરે છે. શ્રદ્ધાળુઓ જીલાની પીરની જાળીમાં તાળું મારીને પોતાની મન્નત માને છે. આ જાળી પર અસંખ્ય તાળાઓ લટકતા જોવા મળે છે.
અહીં દરેક ધર્મના લોકો આવે છે હિંદુ- મુસ્લિમ વગેરે અને આ જગ્યા પર અસંખ્ય ગુજરાતીઓ આવે છે તથા તેને આ પીર પર પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે લગભગ ઇ.સ. ૧૬૩૪ની આસપાસ આ જગ્યા બનેલી છે. જગ્યાના વહીવટકર્તા ઝુબેર અબદુલ કાદીર કહે છે કે શ્રદ્ધાળુઓને જીલાની પીર પર શ્રદ્ધા છે એટલે શ્રદ્ધાળુઓ અહીં જાળીમાં તાળું મારીને પોતાની મન્નત માને છે. તથા તની મન્નત પૂરી થઈ જાય એટલે તેઓ એ તાળું ખોલીને લઈ જાય છે અને નદીમાં પધરાવી દે છે. તેઓ કહે છે કે, અહીં બાજુમાં સિવિલ કોર્ટ પણ આવેલી છે તેથી ઘણા લોકો પોતાનો કેસ જીતી જાય એ માટે પણ અહીં તાળું લગાવવા આવે છે.
આમ કોર્ટ કરતા આ પીરમાં તેમને વધારે વિશ્વાસ છે. તેઓ કહે છે કે દુનિયાની દરેક મુશ્કેલીઓ માટે શ્રદ્ધાળુઓ અહીં તાળું મારીને જીલાની પીરની મન્નત માને છે અને આશ્ચર્યની વાત એ છે કે અહીં શ્રદ્ધાળુઓ મુસ્લિમ કરતાં હિંદુ શ્રદ્ધાળુઓ વધારે આવે છે. શ્રદ્ધાળુઓ તાળું મારીને અથવા દોરો બાંધીને મન્નત માને છે. અહીં ઘણા શ્રદ્ધાળુઓની મુશ્કેલી દૂર થાય છે એમ ઝુબેર અબ્દુલ કાદિર કહે છે. તેઓ કહે છે કે ક્યારેક તો શ્રદ્ધાળુ દસ- પંદર વર્ષે પોતાની મન્નત પુરી થતાં તાળું ખોલવા આવે છે. તેઓ અહીં તાળું મારીને ચાવી લઈ જાય છે પછી તેમની મુશ્કેલી દૂર થતાં તે અહીં તાળું ખોલી નાખે છે અને પછી એ તાળાને નદીમાં પધરાવી દે છે.
અથવા મન્નત પ્રમાણે તાળાની વિધિ કરે છે તથા મન્નત પૂરી થતા શ્રદ્ધાળુ પોતાની શક્તિ પ્રમાણે ગરીબોને જમાડે છે. દર ગુરૂવારે અહીં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે તથા દર ગુરૂવારે શ્રદ્ધાળુઓ અહીં જીલાની પીરની ઇબાદત કરવા માટે આવે છે આરીફ ખાન કહે છે કે, અહીં શ્રદ્ધાળુઓને શાંતિ મળે છે અને તેઓને જીલાની પીર પર વિશ્વાસ અને શ્રદ્ધા હોવાથી તેઓ ઇબાદત કરવા માટે આવે છે. આમ શ્રદ્ધાળુઓ અહીં તાળું મારીને પોતાનું કિસ્મત ચમકાવવાની અનોખી શ્રદ્ધા ધરાવે છે.
જાણકારોના મતે જીલાની પીર એક સૂફી સંત હતા જેઓ સર્વધર્મ સમભાવમાં માનતા હતા. આશરે સાતસો આઠસો વર્ષ પહેલા તેઓ આ જગ્યા પર આવીને બેઠા હતા અને એટલા માટે જ આ જગ્યાને પવિત્ર ગણવામાં આવે છે.
આ અંગે અહીં દર્શન કરવા આવનાર દર્શનભાઈ જણાવે છે કે, તાળાની પ્રથા કેવી રીતે અસ્તિત્વમાં આવી તે કોઈને ખબર નથી. પરંતુ એક પ્રથાના ભાગરૂપે અહીં લોકો ખાસ કરીને નાની સાઈઝના તાળા ચઢાવે છે. અમદાવાદ શહેરના ઓઢવ, બાપુનગર અને પશ્ચિમ વિસ્તારના અનેક કોર્ટ કેસ ચાલતા લોકો અહીં આવીને પ્રાર્થના કરે છે.ઘણા વકીલો પણ અહીં આવીને પોતાના અસીલોને જીતાડવા માટે મનોમન પ્રર્થના કરતા જોવા મળે છે.
વાત શ્રઘ્ધા કે અંધશ્રઘ્ધાની એક બાજુ પર મુકીએ તો ભારતમાં એવા અનેક સ્થાળો છે જ્યાં ઘડીયાળો,તાળા જેવી વિ વિધ વસ્તુઓ બાધાના સ્વરૂપમાં મુકવામાં આવે છે.
No comments:
Post a Comment