Saturday, June 12, 2010

અમદાવાદ બન્યું સ્નેક સિટી.....

અમદાવાદ બન્યું સ્નેક સિટી
અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં જ ૫૦૦થી પણ વધારે સાપો નિકળ્યા છે. જેમાં ધામણ, નાગ, રૂપસુંદરી, વરુદંતી, કુકરી, ખડચીતળો, કાળોતરો વગેરે પ્રકારના સાપો નિકળે છે.અમદાવાદમાં ૧૦૦ પણ વઘુ યુવાનો સાપ પકડીને તેને બચાવવાના કાર્યમાં જોડાયા છે.તેમાં૧૫ જેટલી મહિલાઓ સ્નેક કેચર તરીકે સેવા આપે છે.


હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે. અસહ્ય ઉકળાટ પછી વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં થોડી ઠંડક થઈ. આ ઠંડકની મજા માણવા માટે શહેરના રસ્તાઓ ચક્કાજામ થઈ ગયા હતા. જેમ સીટીના લોકો વરસાદી ઠંડકની મજા માણવા રસ્તાઓ પર નીકળે છે તેમ વિવિધ પ્રકારના સાપ પણ વરસાદી ઠંડકનો આહલાદક અનુભવ કરવા બહાર નીકળે છે.

ચોમાસી શરૂઆત થઈ એટલે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વિવિધ પ્રકારના સાપો નિકળવાના બનાવો બન્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં જ અમદાવાદમાં ૫૦૦થી પણ વધારે સાપ નિકળ્યા છે. કારણ કે ચોમાસાની સીઝન એ સાપ માટે મહત્ત્વની સિઝન છે. ચોમાસુ આવે એટલે એમ કહેવાય છે કે સાપો અને દેડકાની સીઝન આવી. મોટેભાગે સાપો ઉનાળામાં ઉકળાટ અને શિયાળામાં ઠંડીને કારણે દરની અંદર સંતાઈને જ રહે છે. ઉનાળામાં અને શિયાળામાં ભાગ્યે જ કોઈ જગ્યાએ સાપ જોવા મળે છે.

ચોમાસામાં દરની અંદર પાણી ભરાઈ જવાને કારણે સાપ બહાર નિકળે છે અને વૃક્ષો પર અથવા એવી બીજી કોઈ જગ્યા પર વસવાટ કરે છે. સાપને રહેવા માટે જે ટેમ્પ્રેચર જોઈએ છે તે ટેમ્પ્રેચર ચોમાસામાં મળી રહે છે. આ ઉપરાંત ચોમાસામાં દેડકા અને ઉંદરો પણ બહાર નિકળે છે. તેથી આ સીઝનમાં સાપોને ખાવા-પીવાનું પણ ભરપૂર મળી રહે છે. સાપ માટે ચોમાસું જ બધી સીઝન છે. સાપે ચોમાસામાં જ બ્રિડીંગ (સંવનન) કરે છે અને બચ્ચા મૂકે છે. આ સીઝનમાં સાપ વઘુ ખાય છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી તે બહાર વધારે ફરે છે.

આ સીઝનમાં સાપની કેલેરી પણ વધે છે. તે પછી શિયાળામાં ઠંડીને કારણે દરમાં જતા રહે છે.આ ક્રિયાને ‘હાઈબોનેશન’ની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં સાપ નિષ્ક્રીય પડી રહે છે તથા ચોમાસામાં જે કેલેરી ભેગી કરી હોય તેનો ઉપયોગ કરે છે.એટલે જ ચોમાસામાં સાપ વધારે દેખાય છે. અમદાવાદમાં સ્નેક કેચર હેલ્પલાઈન નંબરો પર છેલ્લા બે દિવસમાં જોરદાર વધારો થયો છે. વિવિધ પ્રકારના સાપ જેવા કે ધામણ,નાગ, વરૂદંતી, ડેંડા, કુકરી, આંધળી ચાકણ, ખડચીતળોે, ચીતળો, કાળોતરો, ભાગ્યેજ જોવા મળતી રૂપસુંદરી, નાગ વગેરે જેવા સાપો નિકળવાની ઘટના વધી રહી છે.


આ અંગે સાત વર્ષથી સાપ પકડવાનું કામ કરતાં અમીતભાઈ કહે છે કે, ‘ચોમાસાની શરૂઆત થઈ એટલે સાપ ે બહાર નીકળવાની શરૂઆત કરી દીધી છે. મેં બે દિવસ પહેલાં જ રંગસાગર સોસાયટીમાંથી સાડા પાંચ ફૂટનો કોબ્રા પકડ્યો હતો. વાઈલ્ડલાઈફ પ્રત્યે મને રસ હોવાથી હું જંગલી જાનવરો અને સાપને બચાવું છું.’ અમદાવાદમાં દર વર્ષે લગભગ ૧૫૦૦થી પણ વધારે સાપ પકડાય છે.સાપ પકડીને તેને બચાવનારા યુવાનોની સંખ્યા પણ ૧૦૦થી વધારે છે. મોટેભાગે બિનઝેરી સાપો વધારે નિકળે છે. કારણ કે તેમની બ્રિડીંગ પ્રક્રિયા ફાસ્ટ હોવાથી તેમની સંખ્યા વધારે હોય છે. ૩૦ ટકા સાપ જ ઝેરી હોય છે.

ઘણા દુર્લભ પ્રજાતીના નાના સાપને લોકો અજાણતા મારી નાંખે છે. પરંતુ પાછળથી ખ્યાલ આવે છે કે આ પ્રકારના નાના સાપ ભાગ્યે જ જોવા મળતા હોય છે. ઉપરાંત જો કોઈના ઘરે કોબ્રા નિકળે અને લોકો તેને ભગાડવાની કોશિશ કરે એટલે આ સાપ ફેણ ચડાવે છે. તેથી લોકો તેને મહારાજ સમજીને દૂધ પીવડાવે, ઘૂપ અને અગરબત્તી પણ કરે છે. છેલ્લા છ વર્ષથી સાપ પકડવાનું કામ કરતાં હિમાંશુભાઈ વાત કરે છે કે, ‘સાપ પકડવાનું કાર્ય મને સેવાનું કાર્ય લાગે છે. કેમકે તેને કારણે બે જીવ બચાવું છું.

એક માણસનો અને બીજો સાપનો.’ સ્નેક રેસ્ક્યુ ફોર્સ સાપોને પકડીને એ સાપોને માનવવસ્તીથી દૂર સુરક્ષિત જગ્યામાં એટલે કે વન-વગડામાં છોડી દે છે. આ ઉપરાંત પુરુષોની સાથે મહિલાઓ પણ સાપો પકડવામાં જોડાયેલી છે. પંદર વર્ષથી સાપો પકડવાનું કાર્ય કરતાં અંંજના નિમાવત કહે છે કે, ‘મેં કાલે સવારે જ આંધળી ચાંકણ પકડી હતી. લોકો સાપને દુશ્મન માને છે પણ સાપ આપણો મિત્ર છે. હું બીનઝેરી સાપને હાથેથી જ પકડું છું અને ઝેરી સાપને સ્ટીકથી પકડું છું. આ ઉપરાંત સાપ વિશે લોકોમાં ફેલાયેલી અંધશ્રદ્ધા દૂર કરવાનું પણ કામ કરૂં છું.’

No comments:

Post a Comment